પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના ધાર ખાતે સંબોધન કર્યું અને દેશને અનેક વિકાસ કાર્યોની ભેટ આપી. પીએમ મોદીએ પોતાના જન્મદિવસે યોજાયેલા કાર્યક્રમમાં દેશવાસીઓને વિશ્વકર્મા જયંતિની શુભેચ્છાઓ પાઠવી અને સ્પષ્ટ સંદેશ આપ્યો કે “આ નવું ભારત છે, જે કોઈની પણ પરમાણુ ધમકીઓથી ડરતું નથી. ઘરમાં ઘૂસીને જવાબ આપે છે.”
પીએમ મોદીએ ખાસ કરીને ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આતંકવાદીઓ દ્વારા માતા-બહેનોનું સિંદૂર છીનવવામાં આવ્યું ત્યારે ભારતીય સેનાએ ઘરમાં ઘૂસીને આતંકીઓના ઠેકાણાઓ નષ્ટ કર્યા.

તેમણે ગર્વથી કહ્યું કે “આંખના પલકારામાં પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધું. માતા-બહેનોના આશીર્વાદથી આતંકવાદીઓને મક્કમ જવાબ મળ્યો.”
તેમણે ઉમેર્યું કે ભારત માટે રાષ્ટ્રીય સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન સ્થિત આતંકવાદી ઠેકાણાઓનો વિનાશ કરી દીધો. તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો કે ભારત હવે ડરતું નથી, પણ જરૂરી હોય ત્યારે ઘરમાં ઘૂસીને જવાબ આપે છે.
ધારના સંબોધનમાં પીએમ મોદીએ હૈદરાબાદ મુક્તિ દિવસ પર પણ પ્રકાશ પાડ્યો. તેમણે જણાવ્યું કે 17 સપ્ટેમ્બર દેશ માટે ઐતિહાસિક દિવસ છે, કારણ કે આ દિવસે સરદાર વલ્લભભાઈ પટેલની દૃઢ ઇચ્છાશક્તિના કારણે હૈદરાબાદના લોકોને જુલમમાંથી મુક્તિ મળી હતી.
તેમણે ગર્વ વ્યક્ત કર્યો કે તેમની સરકારે આ દિવસને હૈદરાબાદ મુક્તિ દિવસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું છે, જેથી દેશવાસીઓને યાદ રહે કે દેશ માટે જીવનની દરેક ક્ષણ સમર્પિત છે.

Leave a Reply