વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ધારથી બુધવારે ‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન’ ની શરૂઆત કરી અને સાથે 8મા રાષ્ટ્રીય પોષણ મહિનાનો પણ શુભારંભ કર્યો.
આ ઝુંબેશ 17 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર સુધી દેશવ્યાપી સ્તરે યોજાશે. આ અભિયાન અંતર્ગત મહિલાઓ માટે આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવશે, જેમાં તપાસ અને દવાઓ મફત ઉપલબ્ધ કરાવવામાં આવશે.
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે “જો માતા સ્વસ્થ હોય તો આખું ઘર સ્વસ્થ રહે છે. પરંતુ માતા બીમાર હોય તો આખું પરિવાર પ્રભાવિત થાય છે. એટલે આ અભિયાન માતાઓ અને બહેનોને સમર્પિત છે જેથી માહિતીના અભાવે કોઈ મહિલા ગંભીર બીમારીનો ભોગ ન બને.”
તેમણે જણાવ્યું કે અનેક બીમારીઓ ચૂપચાપ આવે છે અને ગંભીર સ્વરૂપ ધારણ કરે છે, તેથી હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કેન્સર જેવા રોગોની વહેલી તકે તપાસ કરવી ખૂબ જરૂરી છે. પીએમ મોદીએ દેશની બહેનોને વિનંતી કરી કે ખચકાટ વિના આ શિબિરોમાં જઈને તપાસ કરાવે.
તેમણે જણાવ્યું કે આ શિબિરોમાં કોઈપણ પ્રકારનો ખર્ચ નહીં થાય. “પરીક્ષણ મફત હશે, દવા મફત મળશે અને સરકારની તિજોરી તમારા સ્વાસ્થ્ય કરતાં મોટી નથી. આ તિજોરી તમારા માટે છે,” એમ તેમણે ઉમેર્યું.
આ અભિયાન અંતર્ગત એક લાખથી વધુ આરોગ્ય શિબિરો દેશભરમાં આયોજિત કરવામાં આવશે. તેમાં બિન-ચેપી રોગોની તપાસ, એનિમિયા, સિકલ સેલ રોગની સ્ક્રિનિંગ, પ્રસૂતિ પહેલાની સંભાળ, રસીકરણ, પોષણ, માસિક સ્રાવ સ્વચ્છતા, જીવનશૈલી અને માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવામાં આવશે.
સાથે સ્ત્રીરોગ, બાળરોગ, નેત્રરોગ, ઇએનટી, દાંત, ત્વચા અને મનોચિકિત્સા સહિત વિશેષજ્ઞ સેવાઓ મેડિકલ કોલેજો, જિલ્લા હોસ્પિટલો અને ખાનગી આરોગ્ય સંસ્થાઓ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Leave a Reply