ઉધમપુરમાં સુરક્ષાદળો-આતંકીઓ વચ્ચે અથડામણ, જૈશના 4 આતંકીઓ ઘેરાયા, એક જવાન ઇજાગ્રસ્ત

જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં દૂદૂ બસંતગઢના પહાડી વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ગોળીબારી સાથે અથડામણ શરૂ થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જૈશ-એ-મોહમ્મદ (JeM)ના 3 થી 4 આતંકીઓને સુરક્ષાદળોએ ઘેરી લીધા છે અને તેમને ઝડપી પાડવા માટે ઓપરેશન ચાલુ છે. અત્યાર સુધીની ફાયરિંગમાં ભારતીય સેનોનો એક જવાન ઇજાગ્રસ્ત થયો છે.

વિશેષ સૂચના આધારે ભારતીય સેના, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને સ્થાનિક પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું. સુરક્ષા એજન્સીઓના અધિકારીઓએ જણાવ્યું કે અથડામણ હજી ચાલુ છે અને સ્થળ પર વધારાની ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે.

જમ્મુના પોલીસ મહાનિરીક્ષકે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે ગોળીબારી દરમિયાન એક સૈનિક ઇજાગ્રસ્ત થયો છે અને તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. વ્હાઇટ નાઈટ કોર્પ્સે અગાઉ માહિતી આપી હતી કે ગુપ્તચર સૂચના આધારે રાત્રે 8 વાગ્યે આતંકવાદીઓ સાથે સંપર્ક થયો હતો.

ગયા વર્ષે આ જ વિસ્તારમાં અનેક એન્કાઉન્ટર નોંધાયા હતા. 26 જૂન, 2024ના રોજ દૂદૂ-બસંતગઢ જંગલમાં થયેલી અથડામણમાં જૈશનો ટોચનો કમાન્ડર હૈદર માર્યો ગયો હતો. 25 એપ્રિલ, 2024ના રોજ પણ બસંતગઢ વિસ્તારમાં થયેલી અથડામણમાં એક સેનાનો જવાન શહીદ થયો હતો.

 

Leave a Reply

Your email address will not be published.