Asia Cup Final 2025: એશિયા કપ 2025માં પાકિસ્તાન પર ભારતની શાનદાર જીત બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) ભારતીય ટીમ માટે 21 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરી છે. આ રકમ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફમાં વહેંચવામાં આવશે. BCCIએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ અંગે જાહેરાત કરી છે.
રવિવારે (28 સપ્ટેમ્બર) દુબઈ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી એશિયા કપ ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું. 147 રનનો લક્ષ્યાંક ભારતીય ટીમે બે બોલ બાકી રહેતાં હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી તિલક વર્માએ 53 બોલમાં અણનમ 69 રન બનાવ્યા, જેમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. તિલક વર્માને પ્લેયર ઓફ ધ મેચ અને અભિષેક શર્માને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યા.
કુલદીપ યાદવે ચાર વિકેટ ઝડપી
ટાઇટલ મેચમાં પાકિસ્તાની ઓપનરો સાહિબજાદા ફરહાન અને ફખર ઝમાનને મજબૂત શરૂઆત મળી. તેમણે સાથે મળીને 9.4 ઓવરમાં 84 રનની મોટી ભાગીદારી કરી. જો કે, આ ભાગીદારી તૂટી ગયા પછી, પાકિસ્તાની ટીમ પોતાનો રસ્તો ભૂલી ગઈ અને સંપૂર્ણ 20 ઓવર પૂર્ણ કરવામાં નિષ્ફળ ગઈ. ભારત માટે કુલદીપ યાદવે ચાર વિકેટ લીધી, જ્યારે જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલે બે-બે વિકેટ લીધી.
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાની એશિયા કપની ટ્રોફી ક્યાં ગઇ? વિવાદ વચ્ચે BCCIનું રિએક્શન, નકવી ઘેરાયા
ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે એશિયા કપ 2025માં સાત મેચ રમી હતી, જે બધી જીતી હતી. તેમણે ત્રણ વખત પાકિસ્તાનને હરાવ્યું હતું. તેમણે યુએઈ, ઓમાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ સામે પણ મેચ જીતી હતી. શ્રીલંકા સામેની મેચ સૌથી રોમાંચક હતી, જેમાં સૂર્યા બ્રિગેડનો સુપર ઓવરમાં વિજય થયો હતો.

Leave a Reply