Asia Cup 2025: એશિયા કપ ફાઈનલનું ટાઈટલ જીત્યા બાદ ભારતીય ટીમના ખેલાડીઓએ એસીસીના અધ્યક્ષ મોહસિન નકવીના હસ્તે ટ્રોફી સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. ત્યારબાદ નકવી પોતાની સાથે ટ્રોફી અને મેડલ હોટલ લઈ ગયા હતાં. નકવીના આ વ્યવહારની આકરી ટીકા થઈ હતી. બીસીસીઆઈ, આઈસીસીએ ટ્રોફી વિજેતા ટીમને સોંપવા કહ્યું હતું. નકવી ટ્રોફી આપવા તૈયાર તો થયા છે, પણ તેમણે એક શરત મૂકી છે.
પીસીબીના પ્રમુખ અને એસીસીના અધ્યક્ષ નકવીએ ભારતને ટ્રોફી આપવા માટે એક શરત મૂકી છે કે, તેઓ તો જ ભારતીય ટીમને તો જ ટ્રોફી આપીશ, જો તેના માટે એક સમારોહનું આયોજન કરવામાં આવે અને સાથે ટીમના ખેલાડીઓ નકવીના હસ્તે ટ્રોફી અને મેડલનો સ્વીકાર કરે.
આ પણ વાંચોઃ એશિયા કપમાં ધમાકેદાર જીત બાદ હવે ભારત-વેસ્ટઇન્ડિઝ વચ્ચે ટેસ્ટ સીરિઝ, પહેલી મેચ અમદાવાદમાં
નકવી મૂકી શરત
મીડિયા રિપોર્ટ અનુસાર, નકવીએ પોતે જ ભારતીય ટીમના ખેલાડીઓને ટ્રોફી અને મેડલ આપવાની ઈચ્છા દર્શાવી હતી. પરંતુ તેમણે કહ્યું કે, આ મેડલ અને ટ્રોફી માટે એક સમારોહનું આયોજન કરવામાં આવે અને હું મારા હસ્તે જ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને મેડલ અને ટ્રોફી આપું. જો કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજકીય સંબંધોને ધ્યાનમાં લેતાં નકવીની આ ઈચ્છા અધૂરી રહેવાની શક્યતા વધુ છે.
નકવીની આકરી ટીકા
દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમના મેદાન પર મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ નકવીના હસ્તે ટ્રોફી લેવાનો ઈનકાર કર્યો હતો. જેથી રોષે ભરાયેલા નકવી ટ્રોફી અને મેડલ લઈ મેદાન છોડીને જતાં રહ્યા હતાં. તેમના આ વ્યવહારની આકરી ટીકા થઈ હતી. બીસીસીઆઈના સેક્રેટરી દેવજીત સૈકિયાએ નકવીના આ વ્યવહારની ટીકા કરતાં કહ્યું કે, એસીસી અધ્યક્ષ, જે પાકિસ્તાનના ટોચના નેતાઓ પૈકી એક છે. આથી અમે તેમના હસ્તે ટ્રોફી ન લેવાનો નિર્ણય લીધો છે. તેમણે ખાતરી આપી કે, બીસીસીઆઈએ આ મામલે આઈસીસીને ફરિયાદ કરવાનો નિર્ણય લીધો છે. અમે સ્વીકાર ન કર્યો એટલે તેનો અર્થ એ નથી કે, તે મેડલ સાથે ટ્રોફી પણ પોતાની સાથે લઈ જાશે. તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને ખેલદિલીની વિરૂદ્ધ છે.

Leave a Reply