Yograj Singh Shares Pain of Living an Isolated Life : પૂર્વ ભારતીય ક્રિકેટર યોગરાજ સિંહે એક્લવાયા જીવન મામલે વ્યથા વર્ણવી છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂ દરમિયાન તેમણે હૈયાવરાળ ઠાલવતાં કહ્યું કે તેઓ હવે એકલવાયું જીવન વિતાવી રહ્યા છે. તેમણે કહ્યું, કે હું સાંજ પડ્યે એકલો બેસું છું, ઘરમાં કોઈ નથી. જમવા માટે બીજા લોકો પર નિર્ભર છું. ક્યારેક કોઈ આપી દે, ક્યારેક કોઈ બીજું. હું કોઈને પરેશાન નથી કરતો. ભૂખ લાગે ત્યારે કોઈને કોઈ ભોજન આપે છે. ઘરમાં નોકર અને રસોઇયાં રાખ્યા હતા. તેમણે સેવા કરી અને ચાલ્યા ગયા. હું બાળકો અને પૌત્ર પૌત્રીઓને ખૂબ પ્રેમ કરું છું પણ ક્યારેય કોઈ પાસે કશું માંગતો નથી.
હું તો હવે મરવા માટે તૈયાર છું: યોગરાજ સિંહ
યોગરાજ સિંહે ભાવુક થઈને વધુમાં કહ્યું કે ‘હું તો હવે મરવા માટે પણ તૈયાર છું. મારું જીવન હવે સમાપ્ત થઈ ગયું છે. ભગવાનની જ્યારે ઈચ્છા થાય ત્યારે તેમની પાસે બોલાવી શકે છે. હું આભારી છું કે હું પ્રાર્થના કરું અને ભગવાન મને આપતા રહે છે.’
નોંધનીય છે કે યોગરાજ સિંહે શબનમ કૌર સાથે પહેલા લગ્ન કર્યા હતા. પહેલા લગ્નથી તેમના બે બાળકો યુવરાજ અને જોરાવર થયા. પછી વારંવાર ઝઘડાના કારણે બંનેના છૂટાછેડા થયા. યોગરાજ સિંહે નિના બુંધેલ ( ઉર્ફે સતબીર કૌર ) સાથે લગ્ન કર્યા. બીજા લગ્નથી તેમને એક પુત્ર વિક્ટર અને એક પુત્રી અમરજોત છે.
યુવી છોડીને ગયો તે સૌથી મોટો આઘાત
યોગરાજ સિંહે વધુમાં જણાવ્યું, કે ‘યુવી અને તેની મા મને છોડીને ચાલ્યા ગયા ત્યારે મને સૌથી મોટો આઘાત લાગ્યો. જે સ્ત્રી માટે મારું આખું જીવન અને યુવાની આપી દીધી. તે મને છોડીને જતી રહી. હું ઘણીવાર વિચારું છું કે ઘડપણમાં મારી સાથે કોઈ કેમ નથી? મેં યુવીને ક્રિકેટ રમતા શિખવાડ્યું, તે રમ્યો અને જતો રહ્યો. મેં બીજા લગ્ન કર્યા, બે બાળકો થયા તે પણ અમેરિકા જતાં રહ્યા. હું પોતાની જાતને સવાલ કરું છું કે આટલું બધુ કર્યું છતાં આજે કોઈ તારી સાથે છે?’

Leave a Reply