પશ્ચિમ બંગાળમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. બુધવાર રાત્રે ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ (PA) ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.
છેલ્લા 10 થી 12 વર્ષથી શુભેન્દુ અધિકારી સાથે હતા
હુમલાખોરોએ મધ્યગ્રામના દોહરિયા વિસ્તારમાં તેમને નિશાન બનાવીને અંધાધૂંધ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે મૃતક PA ચંદ્રનાથ રથ છેલ્લા 10 થી 12 વર્ષથી શુભેન્દુ અધિકારી સાથે જોડાયેલા હતા અને તેમના ખૂબ જ નજીકના માનવામાં આવતા હતા. તાજેતરની ચૂંટણીઓમાં પણ તેઓ પ્રચાર અભિયાન સાથે જોડાયેલી મહત્વની કામગીરી સંભાળી રહ્યા હતા.
ગંભીર રીતે ઘાયલ, હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોતને ભેટયા
મળતી માહિતી મુજબ, આ ઘટના 24 પરગણાના મધ્યમગ્રામની છે, જ્યાં ચંદ્રનાથ રથને નિશાન બનાવીને ઉપરાછાપરી ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગંભીર રીતે ઘાયલ હાલતમાં તેમને નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

પોલીસે વિસ્તારની નાકાબંધી કરી
ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. વિસ્તારમાં નાકાબંધી કરી દેવામાં આવી છે અને હુમલાખોરોની શોધખોળ ચાલુ છે. આરોપીઓનું પગેરું મેળવવા પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે.
હુમલાખોરો નંબર પ્લેટ વગરની બાઈક લઈને આવ્યા હતા
ચંદ્રનાથ એક સ્કોર્પિયોમાં હતા અને હુમલાખોરોએ બાઇક પર આવીને તેમને નિશાન બનાવ્યા છે. શરૂઆતની વિગતો મુજબ, બાઇક સવાર બદમાશોએ ફાયરિંગ કર્યું હતું. કારની એક તસવીર પણ સામે આવી છે, જેમાં કાચ પર ગોળીઓના નિશાન દેખાઈ રહ્યા છે. એ પણ જાણવા મળ્યું છે કે બાઇક પર નંબર પ્લેટ ન હતી.
TMC પર ભાજપના આરોપ
હિંસાની આ ઘટનાને લઈને ભાજપે ટીએમસી TMC પર પ્રહાર કર્યા છે. ભાજપનું કહેવું છે કે ચૂંટણીમાં હારના ડરથી TMC અકળાઈ ગઈ છે. ચંદ્રનાથની હત્યા પાછળ TMCનો હાથ હોવાનો ભાજપે દાવો કર્યો છે.

Leave a Reply