પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં 66 વર્ષથી કાર્યરત શેઠ પી.ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને વિદ્યાર્થીઓ પરેશાન છે. કોલેજમાં 1200થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હોવા છતાં પીવાનું પાણી, શૌચાલય અને સ્વચ્છતા જેવી મૂળભૂત સુવિધાઓની સઘન ખામી જોવા મળી રહી છે.
વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ નિશ્ચિત પગલાં લેવામાં આવ્યા નથી. આને પગલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા કોલેજના સત્તાધીશો સામે રજૂઆત કરવામાં આવી છે. ABVPએ કહ્યું કે કોલેજમાં પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા નથી, અને પરિસર સ્વચ્છતાના મામલે પણ ખોટ પડતી દેખાઈ રહી છે. ટ્રસ્ટીઓ સાથે વારંવાર વાતચીત કરાઇ હોવા છતાં હાલ સુધી કોઈ ઉકેલ નથી આવ્યો.
ABVPએ કોલેજ સત્તાધીશો માટે સાત દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. જો આ સમયગાળામાં પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નહીં આવે, તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને ABVPની માંગ છે કે કોલેજનું પ્રશાસન તાત્કાલિક પગલાં લઇ, વિદ્યાર્થીઓને યોગ્ય સુવિધાઓ પૂરી પાડે જેથી અભ્યાસમાં કોઈ મુશ્કેલી ન આવે. હાલ કોલેજના પ્રશાસન તરફથી સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી, જે વિદ્યાર્થીઓમાં રોષનું કારણ બની રહ્યું છે.

Leave a Reply