અમદાવાદ: ગુજરાતમાં અને સમગ્ર દેશમાં છેલ્લા ચાર વર્ષથી ચોમાસુ મોડું વિદાય લેતો આવી રહ્યો છે. આ વર્ષે પણ રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, અને હવામાન વિભાગે આગાહી કરી છે કે નવરાત્રિ દરમિયાન પણ ચોમાસું સક્રિય રહેવાની સંભાવના છે.
આજ (6 સપ્ટેમ્બર) સુધી ગુજરાતમાં મૌસમનો સરેરાશ 96 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 101 ટકા, સૌરાષ્ટ્રમાં 87 ટકા અને કચ્છમાં 88 ટકા વરસાદ નોંધાયો છે. કેટલાક તાલુકાઓમાં તો 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે અને યલો-ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કર્યા છે.
વિશેષતા એ છે કે નવરાત્રિ 2025ની શરૂઆત 22 સપ્ટેમ્બરે થશે, અને હવામાન વિભાગના અનુમાન અનુસાર ચોમાસુ નવરાત્રિના દિવસોમાં પણ સક્રિય રહેશે. ચોમાસાની વિદાય ગાંધીજયંતિ આસપાસ થવાની શક્યતા છે. વર્ષ 2020 થી 2024 દરમિયાન પણ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચોમાસું વિદાય લેવા મોડું થયું છે.
હવામાન વિભાગ મુજબ, ચોમાસાની વિદાય માટેની સામાન્ય તારીખ રાજ્યના વિસ્તારો પ્રમાણે અલગ છે. રાજસ્થાનમાં 17 સપ્ટેમ્બર, કચ્છમાં 20 સપ્ટેમ્બર અને દક્ષિણ ગુજરાત અને વેરાવળ સહિતના વિસ્તારોમાં 30 સપ્ટેમ્બર. વર્ષ 2024માં ચોમાસું કચ્છમાંથી 23 સપ્ટેમ્બરે શરૂ થયું અને સમગ્ર ગુજરાતમાં 5 ઓક્ટોબરે વિદાય લીધી હતી. આ વર્ષે પણ નવરાત્રિ દરમિયાન વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.

Leave a Reply