કચ્છ જિલ્લામાં ભારે વરસાદને કારણે નદી-નાળા અને ડેમોમાં પાણી છલકાયું છે. ભુજ શહેરના હૃદય સમાન હમીરસર તળાવ આજે (8 સપ્ટેમ્બર, 2025) સાંજે 6:30 વાગ્યે ઓવરફ્લો થયું છે. તળાવ છલકાવાની પ્રાચીન પરંપરા અનુસાર, આવતીકાલે મંગળવાર (9 સપ્ટેમ્બર)ના રોજ ભુજ શહેરની તમામ સરકારી કચેરીઓ અને શાળાઓમાં એક દિવસ માટે સ્થાનિક રજા જાહેર કરવામાં આવી છે. આ અંગે જિલ્લા કલેક્ટરે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું છે.
કચ્છમાં લાંબા સમયથી ચાલતી આવી લોકપરંપરા મુજબ, હમીરસર તળાવ છલકાય ત્યારે સ્થાનિકો ઢોલ-નગારા સાથે વરુણદેવના આશીર્વાદ બદલ વધામણાં કરે છે.
ઇતિહાસ મુજબ, આ પરંપરાનો આરંભ રાજાશાહી સમયમાં થયો હતો, જ્યારે સ્વાતંત્ર્ય પછી 1953થી પાલિકા પ્રમુખના હસ્તે તળાવના વધામણાં કરવાની પ્રથા શરૂ થઈ.
1953થી આજદિન સુધી હમીરસર તળાવ કુલ 29 વખત છલકાયું છે. ઇતિહાસકાર જોરાવરસિંહ જાદવના ‘ગુજરાતના લોકઉત્સવો’ પુસ્તક અનુસાર, તળાવ છલકાય ત્યારે કચ્છીઓમાં આનંદની લાગણી પ્રસરે છે.
લોકો એકબીજાને ભેટીને ખુશી વ્યક્ત કરે છે અને પરંપરા મુજબ ઘરોમાં ‘મેઘલાડુ’ બનાવવામાં આવે છે. પૂર્વે રાજવી પરિવારે નવા નીરને નાળિયેર અને મીઠાઈથી વધાવવાની પ્રથા શરૂ કરી હતી, જે આજે પણ કચ્છીઓમાં ઉત્સવરૂપે ઉજવાય છે.


Leave a Reply