સાવરકુંડલાના સુથાર સમાજમાં બનેલી એક અનોખી ઘટના સમગ્ર સમાજ માટે પ્રેરણાનું સ્ત્રોત બની છે. સ્વર્ગસ્થ ધનજીભાઈ બાબુભાઈ સોનિગરા (ઉંમર 75) ના અવસાન પ્રસંગે તેમની પાંચ દીકરીઓએ પિતાને કાંધ આપીને અને અગ્નિદાહ કરીને પરંપરાને નવી દિશા આપી.
પરંપરાગત રીતે અંતિમવિધિમાં દીકરાઓ જ કાંધ આપતા હોય છે અને અગ્નિદાહ કરતા હોય છે, પરંતુ ધનજીભાઈને કોઈ પુત્ર ન હોવાથી તેમની પાંચેય દીકરીઓએ જ આ જવાબદારી નિભાવી. અંતિમયાત્રા દરમ્યાન દીકરીઓએ પિતાના પાર્થિવદેહને કાંધ આપ્યો અને સ્મશાનભૂમિ સુધી પહોંચ્યા બાદ અગ્નિદાહ કરીને પિતાને અંતિમ વિદાય આપી. આ દ્રશ્ય ઉપસ્થિત સૌને ભાવુક કરી દીધું હતું.

આ પ્રસંગે સમાજના અગ્રણીઓ અને વડીલો દીકરીઓની હિંમત, શ્રદ્ધા અને પિતાપ્રેમથી અત્યંત પ્રભાવિત થયા. તેમણે જાહેરમાં દીકરીઓની પ્રશંસા કરી અને આ ઘટનાને સમાજ માટે માર્ગદર્શક ગણાવી. આજના સમયમાં જ્યાં ઘણી વાર દીકરીઓને અવગણવામાં આવે છે, ત્યાં આ ઘટનાએ સાબિત કર્યું કે દીકરીઓ પણ દરેક જવાબદારી નિભાવવામાં દીકરાઓથી ઓછા નથી.
ધનજીભાઈએ પોતાની દીકરીઓને બાળપણથી જ ઉત્તમ સંસ્કારો આપ્યા હતા. આ જ સંસ્કારોનું પ્રતિબિંબ તેમની અંતિમ વિદાય વખતે ઝળહળતું જોવા મળ્યું. દીકરીઓએ પિતાની અંતિમ ઈચ્છા પૂરી કરીને કર્તવ્ય, પ્રેમ અને માનવતાને પરંપરા કરતા મોટું ગણાવ્યું. આ ઘટના માત્ર એક પરિવાર માટે નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે એક પ્રેરણાત્મક સંદેશ બની છે કે પુત્ર-પુત્રી વચ્ચે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ.

Leave a Reply