કતારમાં હમાસના વરિષ્ઠ નેતાઓ પર ઇઝરાયલનો એરસ્ટ્રાઇક, તણાવપૂર્ણ માહોલ

કતારમાં હમાસના વરિષ્ઠ નેતાઓ પર ઇઝરાયલનો એરસ્ટ્રાઇક, તણાવપૂર્ણ માહોલ

ઇઝરાયલે ફરી એકવાર હમાસના વરિષ્ઠ નેતાઓને નિશાન બનાવીને હુમલો કર્યો છે. મંગળવારે (9 સપ્ટેમ્બર) કતારની રાજધાની દોહામાં ઇઝરાયલી વાયુસેનાએ સટીક એરસ્ટ્રાઇક કરી હતી, જેમાં હમાસના ટોચના નેતાઓ ખલીલ અલ-હય્યા અને ઝહેર જબરીનને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા. આ હુમલા પછી દોહાના આકાશમાં કાળા ધુમાડાના વાદળો જોવા મળ્યા હતા અને શહેરમાં ભય અને તણાવનું વાતાવરણ છવાઈ ગયું હતું.

ઇઝરાયલ સંરક્ષણ દળો (IDF) અને સુરક્ષા એજન્સી ISAએ નિવેદન બહાર પાડીને જણાવ્યું કે, આ કાર્યવાહી હમાસના વરિષ્ઠ નેતૃત્વ સામે કરવામાં આવી હતી, જે 7 ઓક્ટોબર, 2023ના ઇઝરાયલ પર થયેલા ક્રૂર હુમલાના સીધા જવાબદાર છે.

IDFએ વધુમાં જણાવ્યું કે નાગરિકોને નુકસાન ન થાય તે માટે ચોકસાઇવાળા શસ્ત્રો અને વધારાની ગુપ્તચર માહિતીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ આ કાર્યવાહી સંપૂર્ણપણે સ્વતંત્ર ઇઝરાયલી અભિયાન હોવાનું સ્પષ્ટ કર્યું હતું.

મીડિયા અહેવાલો અનુસાર, હુમલો ત્યારે થયો હતો જ્યારે હમાસના વરિષ્ઠ નેતાઓ યુએસ દ્વારા પ્રસ્તાવિત યુદ્ધવિરામ અંગેની ચર્ચા કરી રહ્યા હતા. જોકે, IDFએ સ્પષ્ટ કર્યું કે આ સ્ટ્રાઇકમાં કોઈ વાટાઘાટકારને નુકસાન થયું નથી. આ સાથે જ ઇઝરાયલના વિદેશ પ્રધાન ગિડીઓન સારએ ગાઝા માટે યુએસ પ્રસ્તાવિત યુદ્ધવિરામ સ્વીકાર્ય હોવાનું જાહેર કર્યું હતું.

કતાર સરકારે આ હુમલાને “કાયરતાપૂર્ણ” ગણાવ્યો અને આંતરરાષ્ટ્રીય કાયદાનો ઉલ્લંઘન ગણાવીને તેની કડક નિંદા કરી છે. કતારના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે સુરક્ષા દળો અને નાગરિક સંરક્ષણ તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરી રહ્યા છે.

કતારે ચેતવણી આપી છે કે તે પોતાની સુરક્ષા અને પ્રાદેશિક સાર્વભૌમત્વ સામે કોઈપણ પ્રકારની ઇઝરાયલી કાર્યવાહી સહન નહીં કરે. બીજી તરફ, ઈરાને પણ આ હુમલાની તીવ્ર નિંદા કરી છે.

 

Leave a Reply

Your email address will not be published.