ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીનું પરિણામ જાહેર થતા જ એ સ્પષ્ટ થયું કે NDA ઉમેદવાર અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન દેશના નવા ઉપરાષ્ટ્રપતિ બનશે. કુલ 767 મતોમાંથી રાધાકૃષ્ણનને 452 પ્રથમ પસંદગીના મત મળ્યા, જ્યારે વિપક્ષના ઉમેદવાર જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા. 15 મત અમાન્ય જાહેર થયા હતા. આ પરિણામ સાથે જ રાધાકૃષ્ણન ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે 12 સપ્ટેમ્બરે શપથ લેશે.
ચૂંટણીનો સૌથી ચર્ચાસ્પદ મુદ્દો ક્રોસ વોટિંગ રહ્યો હતો. કોંગ્રેસના મહાસચિવે દાવો કર્યો હતો કે ઇન્ડિયા બ્લોક પાસે 315 મત છે, પરંતુ પરિણામમાં 14-15 વિપક્ષી સાંસદોએ NDAની તરફેણમાં મત આપ્યો હોવાનું સામે આવ્યું.
NDAને કાગળ પર 427 સાંસદોનો ટેકો હતો, ઉપરાંત YSRCPના 11 સાંસદોએ પણ મત આપ્યો હતો. છતાં NDA ઉમેદવારને અપેક્ષા કરતાં 14 વધુ મત મળ્યા, જેનાથી ક્રોસ વોટિંગની અટકળો મજબૂત બની.
બીજી બાજુ, BJD, BRS, SAD સહિત 13 સાંસદોએ મતદાનમાં ભાગ લીધો ન હતો.
આ પરિણામે વિપક્ષની વ્યૂહરચના પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. ખાસ કરીને બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ઇન્ડિયા બ્લોક માટે આ એક મહત્વની કસોટી ગણાઈ રહી હતી, જેમાં અપેક્ષિત સમર્થન મળ્યું નહીં.
વિપક્ષી ઉમેદવાર જસ્ટિસ સુદર્શન રેડ્ડીએ હાર સ્વીકારીને જણાવ્યું કે સાંસદોએ લોકશાહી પ્રક્રિયા દ્વારા પોતાનો નિર્ણય આપ્યો છે અને તે પોતે આ પરિણામને સ્વીકાર કરે છે.
તેમણે કહ્યું કે આ યાત્રા તેમના માટે ગૌરવની ક્ષણ હતી અને બંધારણીય નૈતિકતા, ન્યાય અને ગૌરવ માટે ઊભા રહેવાનો મોકો હતો. તેમણે વધુ જોશ સાથે વૈચારિક સંઘર્ષ ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો અને તેમને સમર્થન આપનાર તમામ નેતાઓનો આભાર માન્યો.

Leave a Reply