સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)ની બેઠક દરમિયાન ભારતે પાકિસ્તાન સામે કડક શબ્દોમાં આક્ષેપો કર્યા. ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, તેને એવા દેશ પાસેથી કોઈ પાઠ શીખવાની જરૂર નથી જે આતંકવાદીઓને આશ્રય, ભંડોળ અને ટેકો પૂરું પાડીને વિશ્વની સુરક્ષાને જોખમમાં મૂકે છે.
જીનીવામાં ભારતના સ્થાયી મિશનના કાઉન્સેલર ક્ષિતિજ ત્યાગીએ પાકિસ્તાનના આક્ષેપોનો જવાબ આપતા કહ્યું કે, “અમારે ફરી એક વાર એવા દેશની ઉશ્કેરણીજનક ટિપ્પણીઓને જવાબ આપવો પડ્યો છે, જેના પોતાના નેતાઓએ તાજેતરમાં પાકિસ્તાનને ‘ડમ્પ ટ્રક’ તરીકે સંબોધ્યું હતું. આ જ તેનું સાચું પ્રતિબિંબ છે, કારણ કે તે હંમેશા જૂઠાણા અને જૂના પ્રોપેગન્ડાનું પુનરાવર્તન કરે છે.”
ત્યાગીએ આ વર્ષે એપ્રિલમાં થયેલા પહલગામ હુમલાની યાદ અપાવી અને 9/11ના હુમલાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, દુનિયાએ ક્યારેય એ ભૂલવું નહીં જોઈએ કે, તે દેશે ઓસામા બિન લાદેનને આશ્રય આપ્યો હતો અને પછી તેને “શહીદ” ગણાવ્યો હતો.
ભારતના પ્રતિનિધિએ પુલવામા, ઉરી, પઠાણકોટ અને મુંબઈ જેવા આતંકી હુમલાઓની યાદી ગણીને કહ્યું કે, “આ યાદી ક્યારેય પૂરી થતી નથી. છતાંય પાકિસ્તાન અહીં આવીને નૈતિક બનવાનો પ્રયાસ કરે છે, જ્યારે હકીકતમાં તે આતંકી નેટવર્કને ટેકો આપે છે, જે વૈશ્વિક સુરક્ષાને ખતરામાં મૂકે છે. વિશ્વ આ નાટકને સારી રીતે ઓળખે છે.”
ભારતે પાકિસ્તાનને ચેતવણી આપી કે, આતંકવાદને આશ્રય આપતા દેશ પાસેથી ભારત કોઈ પાઠ કે ઉપદેશ નહીં લે. ત્યાગીએ વધુમાં કહ્યું કે, “અમે એવા દેશ પાસેથી પણ સલાહ નહીં લઈએ જે પોતાના દેશમાં લઘુમતીઓ પર અત્યાચાર કરે છે અને જે પોતાની વિશ્વસનીયતા ગુમાવી ચૂક્યો છે.”

Leave a Reply