PM મોદી મણિપુર માટે જઈ રહ્યા છે, પરંતુ રાહુલ ગાંધી કહે છે ‘વોટ ચોરી’ સૌથી મોટો મુદ્દો

PM મોદી મણિપુર માટે જઈ રહ્યા છે, પરંતુ રાહુલ ગાંધી કહે છે ‘વોટ ચોરી’ સૌથી મોટો મુદ્દો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 13 સપ્ટેમ્બરે મિઝોરમ અને મણિપુરની મુલાકાત પર જઈ રહ્યા છે, જેમાં તેઓ મણિપુરમાં રૂ. 8500 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને હિંસાથી પ્રભાવિત વિસ્તારોના લોકો સાથે મુલાકાત કરશે.

આ પ્રસંગે કોંગ્રેસના નેતા અને લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર તીવ્ર પ્રહાર કર્યો છે.

તેમણે જણાવ્યું કે, “મણિપુરની મુલાકાત સારું પગલું છે, પરંતુ દેશનો મુખ્ય મુદ્દો આજે ‘વોટ ચોરી’ છે. હરિયાણા અને મહારાષ્ટ્રમાં જનાદેશની ચોરી કરવામાં આવી છે અને દેશભરના લોકો વડાપ્રધાનને વોટ ચોર કહી રહ્યા છે.” રાહુલ ગાંધી પહેલાથી જ અનેક વખત મણિપુરની મુલાકાત લઈને ત્યાંના પીડિતો સાથે મુલાકાત કરી તેમની ચિંતાઓ સંસદમાં ઉઠાવી ચૂક્યા છે.

મણિપુરમાં મે 2023માં કુકી અને મૈતેઈ સમુદાયો વચ્ચે થયેલા હિંસાત્મક સંઘર્ષમાં અત્યાર સુધીમાં 260થી વધુ લોકોના મોત થયા છે અને હજારો પરિવારો સ્થળાંતર માટે મજબૂર બન્યા છે.

રાજ્યમાં તણાવપૂર્ણ પરિસ્થિતિને કારણે ફેબ્રુઆરીમાં મુખ્યમંત્રી એન. બિરેનસિંહે રાજીનામું આપ્યા બાદ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું હતું. વડાપ્રધાન મોદી આ પહેલીવાર મણિપુર જઈ રહ્યા છે અને તેમના કાર્યક્રમમાં ચુરાચાંદપુર તથા ઈમ્ફાલના પ્રતિકાત્મક વિસ્તારોની મુલાકાત તેમજ પીડિતો માટે રાહત પેકેજ જાહેર કરવાની સંભાવના છે.

નિષ્ણાતો માને છે કે, આ મુલાકાતથી બંને સમુદાયો વચ્ચે વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા તેમજ માનવીય-રાજકીય સંકટમાં સ્થિરતા લાવવા પ્રયત્ન થશે. વડાપ્રધાન ઈમ્ફાલના કાંગલા કિલ્લામાં જાહેર સભાને સંબોધિત કરશે, ત્યારબાદ તેઓ 15 સપ્ટેમ્બરે મિઝોરમ જશે.

 

Leave a Reply

Your email address will not be published.