અમદાવાદ: દેશની અગ્રણી સહકારી સંસ્થા અમૂલએ પોતાના 800થી વધુ પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. જીએસટી કાઉન્સિલે ડેરી ઉત્પાદનો પર કરેલા જીએસટી દરના ઘટાડાનો સંપૂર્ણ લાભ ગ્રાહકોને આપવા માટે આ નિર્ણય લેવાયો છે.
અમૂલના ટોચના સૂત્રોએ જણાવ્યું કે આવનારા બે-ત્રણ દિવસમાં ભાવ ઘટાડાની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે, જેથી સામાન્ય જનતાને સીધો લાભ મળી શકે અને તેમના ખર્ચમાં ઘટાડો થાય.
આ નિર્ણયથી પનીર, ઘી, બટર, ચોકલેટ, ક્રીમ, આઈસક્રીમ સહિતના અનેક પ્રોડક્ટ્સના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થશે. અમૂલના ઘણા પ્રોડક્ટ્સને 5% જીએસટી સ્લેબમાંથી 0% સ્લેબમાં અને 12% અથવા 18% સ્લેબમાંથી 5% સ્લેબમાં લાવવામાં આવ્યા છે. આ ભાવ ઘટાડાની જાહેરાત 22મી સપ્ટેમ્બર પહેલા કરી દેવામાં આવશે.

અમૂલના પોર્ટફોલિયોમાં આવેલા દૂધ, ઘી, ચીઝ, પનીર, બટર, ફ્રેશ ક્રીમ, શ્રીખંડ, દહીં, ગુલાબજાંબું, ફ્લેવર્ડ મિલ્ક અને લસ્સી સહિતના તમામ ઉત્પાદનોના ભાવમાં ઘટાડો થશે. આ પગલાથી કરોડો ગ્રાહકોને રાહત મળશે.
બીજી તરફ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) ની સબસિડિયરી મધર ડેરીએ પણ પોતાના ઉત્પાદનોના ભાવમાં ઘટાડાની જાહેરાત કરી છે. મધર ડેરીએ 200 ગ્રામ પનીરના પેક પર રૂ. 3નો ઘટાડો કર્યો છે, જ્યારે 1 લીટર ઘીના પેકેટની કિંમત રૂ. 675 થી ઘટાડી રૂ. 645 કરી છે.
આઈસક્રીમ પરના જીએસટી દર 18% થી ઘટાડીને 5% કરાતા કસાટા આઈસક્રીમ, અથાણા, ટોમેટો પ્યૂરી અને ફ્રોઝન ફ્રેન્ચ ફ્રાઈઝ જેવા પ્રોડક્ટ્સના ભાવમાં પણ ઘટાડો થશે.

Leave a Reply