નવા દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે તેમના 75મા જન્મદિવસે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ભૈસોલા ગામે ખાસ કાર્યક્રમમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ દેશના પ્રથમ PM મિત્ર (Mega Integrated Textile Region and Apparel) પાર્કનો શિલાન્યાસ કરશે.
‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અભિયાન તથા ‘આદિ સેવા પર્વ’નો શુભારંભ કરશે. પીએમના આગમનને લઈને રાજ્યભરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તમામ સુરક્ષા અને આયોજનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.
આ આરોગ્ય અભિયાનનું લક્ષ્ય મહિલાઓ, કિશોરીઓ અને બાળકોના સ્વાસ્થ્ય અને પોષણમાં સુધારો લાવવાનો છે. અભિયાન દરમિયાન દેશભરમાં આરોગ્ય શિબિરો યોજાશે જેમાં મહિલાઓ માટે વ્યાપક આરોગ્ય તપાસ, એનિમિયા નિવારણ, સંતુલિત આહાર અને માસિક સ્રાવ સ્વચ્છતા અંગે જાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવશે. આરોગ્ય અને મહિલા-બાળ વિકાસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે અમલમાં મુકાતું આ અભિયાન ઐતિહાસિક પગલું ગણાય છે.

PM મિત્ર પાર્ક લગભગ 2,158 એકરમાં ફેલાયેલું છે અને તેને વિશ્વ કક્ષાની સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવી રહ્યું છે. પાર્કમાં 20 MLD કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 10 MVA સોલાર પાવર પ્લાન્ટ, સતત પાણી અને વીજળીનો પુરવઠો, આધુનિક રસ્તાઓ અને 81 પ્લગ-એન્ડ-પ્લે યુનિટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થશે.
કામદારો અને મહિલા કર્મચારીઓ માટે રહેઠાણ અને સામાજિક સુવિધાઓ પણ અહીં પૂરી પાડવામાં આવશે જેથી તે માત્ર ઔદ્યોગિક વિસ્તાર નહીં પરંતુ એક આદર્શ ઔદ્યોગિક નગર બની શકે.
હાલ સુધીમાં અગ્રણી કાપડ કંપનીઓ તરફથી 23,146 કરોડ રૂપિયાના રોકાણ પ્રસ્તાવો પ્રાપ્ત થયા છે, જે રાજ્યમાં રોજગારની નવી તકો સર્જશે અને કપાસ ઉત્પાદકોને સીધો ફાયદો પહોંચાડશે. કાર્યક્રમમાં રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને મુખ્યમંત્રી મોહન યાદવ પણ હાજર રહેશે.

Leave a Reply