સેબીનો મોટો નિર્ણય: હિન્ડનબર્ગ કેસમાં અદાણી ગ્રુપને સંપૂર્ણ ક્લીન ચીટ

સેબીનો મોટો નિર્ણય: હિન્ડનબર્ગ કેસમાં અદાણી ગ્રુપને સંપૂર્ણ ક્લીન ચીટ

અમદાવાદ: અદાણી ગ્રુપ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકન શોર્ટ-સેલર ફર્મ હિન્ડનબર્ગ રિસર્ચ દ્વારા લગાવવામાં આવેલા ગંભીર આક્ષેપોમાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ અદાણી ગ્રુપને ક્લીન ચીટ આપી છે.

ગુરુવારે જાહેર કરાયેલા અંતિમ આદેશમાં સેબીએ સ્પષ્ટ કર્યું કે હિન્ડનબર્ગ દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને કોઈ પણ પ્રકારના પુરાવા મળ્યા નથી જે અદાણી ગ્રુપને દોષિત ઠરાવે. પરિણામે, નિયમનકર્તા સંસ્થા દ્વારા કોઈ દંડ લાદવામાં આવ્યો નથી અને તમામ સંબંધિત કંપનીઓ તથા વ્યક્તિઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

સેબીએ 18 સપ્ટેમ્બરે પસાર કરેલા આદેશમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી, તેમના ભાઈ રાજેશ અદાણી, અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ, અદાણી પાવર લિમિટેડ અને એડિકોર્પ એન્ટરપ્રાઇઝિસને સંપૂર્ણપણે ક્લીન ચીટ આપી હતી.

સેબી મુજબ, ઇનસાઇડર ટ્રેડિંગના કોઈ પુરાવા મળ્યા નથી અને નાણાકીય વ્યવહારો નિયમ અનુસાર થયા હતા.

હિન્ડનબર્ગ રિસર્ચે તેના રિપોર્ટમાં આક્ષેપ કર્યો હતો કે એડિકોર્પ એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડનો ઉપયોગ અદાણી ગ્રુપે જાહેર લિસ્ટેડ કંપનીઓ પાસેથી ભંડોળ મેળવવા અને અદાણી પાવરને નાણાકીય સહાય કરવા માટે કર્યો હતો.

રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે અદાણી ગ્રુપની ચાર કંપનીઓએ 2020માં કુલ 6.2 અબજ રૂપિયાની લોન એડિકોર્પને આપી હતી અને આ વ્યવહારો ધિરાણકર્તાઓના નાણાકીય નિવેદનોમાં જાહેર કરવામાં આવ્યા નહોતા.

હિન્ડનબર્ગે વધુમાં આક્ષેપ કર્યો હતો કે એડિકોર્પે આ મૂડીનો ઉપયોગ કરીને અદાણી પાવરને 6.1 અબજ રૂપિયાની લોન આપી હતી.

સેબીની તપાસ બાદ આ તમામ આક્ષેપોને ખોટા જાહેર કરવામાં આવ્યા છે, જેનાથી અદાણી ગ્રુપ માટે મોટી રાહત મળી છે અને બજારમાં રોકાણકારોના વિશ્વાસમાં વધારો થવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published.