બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરીની આવનારી ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ડિરેક્ટર પદ મેળવવા માટે વિવિધ નેતાઓ સક્રિય થઈ ગયાં છે, ખાસ કરીને ભાજપના નેતાઓ ચૂંટણી મેદાનમાં ઉતરતાં સહકારી ક્ષેત્રમાં ચહલપહલ વધી છે.
સૂત્રો મુજબ પૂર્વ ધારાસભ્ય અને સાંસદ પણ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકે તેવી શક્યતાઓ છે. વડગામ બેઠક પર આંતરિક ખેંચતાણ સર્જાયું છે, જ્યારે દાંતીવાડા બેઠક પર દાવેદારોની સંખ્યા સતત વધી રહી છે.
ભાજપના મેન્ડેટ અંગે ચર્ચાઓ તેજ
ચૂંટણીમાં ભાજપ કોને ટેકો આપશે એ મુદ્દે અનેક ચર્ચાઓ જોર પકડી રહી છે. થરા માર્કેટ યાર્ડ અને બનાસ ડેરીના પૂર્વ ચેરમેન અણદા પટેલે શિહોરી મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું છે અને તેમને ભાજપનો ટેકો મળશે તેવી આશા વ્યક્ત કરી છે.
પાલનપુર બેઠક પરથી પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી પણ મેદાનમાં ઉતરે તેવી શક્યતા છે. ચર્ચાઓ અનુસાર આ ચૂંટણીમાં ભાજપ સામે ભાજપની જ ટક્કર સર્જાઈ શકે છે, કારણ કે પાર્ટીના જ દિગ્ગજો એકબીજા સામે ચૂંટણી લડવા ઉતરી રહ્યાં છે.

ચૂંટણી પ્રક્રિયા અને મતગણતરીની તારીખો જાહેર
બનાસ ડેરીની ચૂંટણી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા પુરવઠા અધિકારી બનાસકાંઠા, પાલનપુર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ઉમેદવારી પત્રો 22મી સપ્ટેમ્બરથી દરરોજ સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે.
ઉમેદવારી પત્રોની ચકાસણી 23મી સપ્ટેમ્બરે થશે, ઉમેદવારોની યાદી 24મી સપ્ટેમ્બરે જાહેર થશે અને ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 29મી સપ્ટેમ્બર રહેશે. મતદાન 10મી ઓક્ટોબરે સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી યોજાશે, જ્યારે મતગણતરી 11મી ઓક્ટોબરે કલેક્ટર કચેરીના સભાખંડમાં થશે.

Leave a Reply