દિલ્હી બ્લાસ્ટને લઈને ગંભીર થયો ઈમોશનલ, ધવન અને કુંબલે સહિતના ક્રિકેટરે દુઃખ વ્યક્ત કર્યું
Updated: Nov 11th, 2025
GS TEAM

Delhi Blast: દિલ્હીમાં સોમવારે (10મી નવેમ્બર) સાંજે લાલ કિલ્લા નજીક થયેલા કાર બોમ્બ વિસ્ફોટથી ક્રિકેટ જગત સ્તબ્ધ થઈ ગયું હતું. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક એક કારમાં વિસ્ફોટ થયો હતો,જેમાં 10થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, અને 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. સમગ્ર દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ ઘટનાને લઈને ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને અન્ય ઘણાં ક્રિકેટરોએ આ દુ:ખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
ભારતીય ક્રિકેટરોએ શું કહ્યું?
ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર આ ઘટના પર પ્રતિક્રિયા આપનારા પહેલા ક્રિકેટરોમાંના એક હતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, ‘દિલ્હી વિસ્ફોટમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે મારી સંવેદના. ભગવાન મૃત્યુ પામેલા લોકોના પરિવારોને શક્તિ આપે અને ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું.’
પૂર્વ ભારતીય બેટર શિખર ધવને શોક વ્યક્ત કરતા ‘X’ પર લખ્યું, ‘દિલ્હીમાં લાલ કિલ્લા નજીક કાર બોમ્બ વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું. મારી પ્રાર્થનાઓ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. બધા સુરક્ષિત રહો અને પોતાનું ધ્યાન રાખો.’
ફાસ્ટ બોલર ઇશાંત શર્માએ પણ આ દુ:ખદ ઘટના પર પ્રતિક્રિયા આપી. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, ‘દિલ્હીમાં શાંતિ અને દરેક શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થ કરૂ છું. આપણા શહેરમાં એક અતૂટ ભાવના છે. સાથે મળીને, આપણે વધુ મજબૂત બનીશું.’
પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરા, અનિલ કુંબલેએ પણ આ મુશ્કેલ સમયમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારો માટે શક્તિ માટે પ્રાર્થના કરી હતી.
આ પણ વાંચો: દિલ્હી બ્લાસ્ટ : ધડાકો એટલો શક્તિશાળી હતો કે એક મૃતદેહ વૃક્ષ પર લટકતો મળ્યો!
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લીધો નિર્ણય
અહેવાલો અનુસાર, દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા કાર બોમ્બ વિસ્ફોટની તપાસ હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો છે અને તપાસ NIAને સોંપી દીધી છે. મંગળવારે (11મી નવેમ્બર) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી જેમાં વિસ્ફોટની તપાસ NIA પાસે કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Leave a Reply