ફાઈનલ મેચમાંથી વરૂણ બહાર? કેપ્ટન સૂર્યકુમારે આપ્યો જવાબ, રોહિત શર્મા અંગે જુઓ શું કહ્યું
Updated: Mar 7th, 2026
GS TEAM

IND vs NZ Final: ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ન્યૂઝીલેન્ડ સામે T20 વર્લ્ડકપની ફાઈનલ મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં અનેક સવાલોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન સૂર્યકુમારે ખરાબ ફોર્મમાં ચાલી રહેલા મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીનો બચાવ કર્યો હતો. વરુણ છેલ્લી કેટલીક મેચમાં સારું પ્રદર્શન કરી શક્યો નથી, તેવામાં કેપ્ટનને ભરોસો છે કે T20ની ફાઈનલમાં વરુણ નંબર વન બોલર સાબિત થશે. જાણો પ્લેઇંગ-11 પર સૂર્યકુમારે શું કહ્યું?
વરુણના ફોર્મે ચિંતા વધારી
કેટલાક સમયથી વરુણના ફોર્મ અંગે ચિંતાઓ હતી. વરુણે ઇંગ્લેન્ડ સામેની સેમિફાઇનલમાં ચાર ઓવરમાં 64 રન આપીને માત્ર એક વિકેટ લીધી હતી. વરુણે સેમિફાઇનલમાં 16ના ઇકોનોમી રેટથી રન આપ્યા હતા. વરુણ ટીમમાં એક અનુભવી સ્ટાર ખેલાડી છે, પરંતુ તેનું ફોર્મ ન હોવું ચિંતાનો વિષય છે. ભારત ફાઇનલમાં વરુણની જગ્યાએ સ્પિનર કુલદીપ યાદવને લેશે કે કેમ તે અંગે પણ ચર્ચા થઈ રહી છે. જો કે, સૂર્યકુમાર યાદવે આ અંગે સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો.
ટીમના પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત
સૂર્યકુમારે ફાઇનલના એક દિવસ પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, “વરુણ વિશે ચિંતા કરવાની કોઈ વાત નથી. અમે મેચ જીતી, આ એક ટીમ સ્પોર્ટ્સ છે. અમારું ધ્યાન એક ટીમ તરીકે પ્રદર્શન કરવા પર છે. જ્યારે આપણે જીતીએ છીએ કે હારીએ છીએ, ત્યારે અમે વ્યક્તિગત પ્રદર્શન વિશે વિચારતા નથી. ટીમમાં 11 ખેલાડીઓ હોય છે અને દરેક જણ એક જ દિવસે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકતા નથી. એક કે બે ખેલાડીઓનો દિવસ ખરાબ હોઈ શકે છે. એ દિવસે આપણે ખરાબ પ્રદર્શનને કવર કરવું પડે છે.”
આ પણ વાંચો: ‘હવે કંઈક નવું લાવો!’, T20 વર્લ્ડકપ ફાઈનલ પહેલા સેંટનરને સૂર્યાનો જવાબ
પ્લેઇંગ-11ને લઈને કેપ્ટને શું કહ્યું?
સૂર્યકુમારે કહ્યું કે, “વરુણ નંબર વન બોલર છે. અમે જાણીએ છીએ કે ક્યારે શું કરવું અને વિરોધી ટીમ સામે કેવી રીતે બોલિંગ કરવી. તે જાણે છે કે કેવી રીતે આગળ વધવું અને આપણા માટે મેચ કેવી રીતે જીતાડવી. મને વિશ્વાસ છે કે તે કરશે.” ટાઇટલ મુકાબલા માટે પ્લેઇંગ-11માં ફેરફાર વિશે પૂછવામાં આવતા કેપ્ટને કોઈ ચોક્કસ જવાબ આપ્યો ન હતો. સૂર્યકુમારે કહ્યું કે, “શું ફેરફાર કરવામાં આવશે તે ફક્ત મેચના દિવસે જ જાણી શકાશે.”
હું રોહિત શર્માના પગલે ચાલી રહ્યો છું- સૂર્યકુમાર
રોહિત શર્માને લઈને સૂર્યકુમારે કહ્યું કે, “મારા ડેબ્યૂના છ વર્ષ પછી ટીમને ફાઈનલમાં લઈ જવી એ મારા અને મારા પરિવાર માટે ખૂબ જ વિશેષ વાત છે. હા, હું થોડો નર્વસ છું, પરંતુ અમે તેના વિશે વધુ વાત કરી નથી. ભલે હું કેપ્ટનશીપ કરી રહ્યો છું, હું રોહિત શર્માના પગલે ચાલી રહ્યો છું. મેં રોહિત સાથે ઘણી મેચ રમી છે અને મને ખ્યાલ છે કે તેઓ શું વિચારે છે. હું તે વ્યૂહરચના અને વિચારોને અમલમાં મૂકવા માંગુ છું. ગૌતી ભાઈ (કોચ ગંભીર) પણ ખૂબ મદદરૂપ થયા છે.”
આ પણ વાંચો: T20 વર્લ્ડકપ ફાઈનલ: કોના માટે ‘લકી’ સાબિત થશે અમદાવાદનું સ્ટેડિયમ? જાણો બંને ટીમોનો રેકોર્ડ
ટીમના યુવા ખેલાડીઓને સલાહ આપવા અંગે સૂર્યકુમારે સ્પષ્ટતા કરી કે, તે તેમને ભાષણ આપવા માટે મોટા ભાઈ કે પિતા જેવો નથી. તેમણે કહ્યું, “તમે આ ખેલાડીઓને જેટલી વધુ સ્વતંત્રતા આપશો, તેટલું તેઓ સારું પ્રદર્શન કરશે. હું નર્વસ છું, પરંતુ દબાણ નહીં હોય તો તેમાં મજા પણ નહીં આવે. કોઈપણ કઠિન નિર્ણયો હું અને કોચ સંયુક્ત રીતે લઈએ છીએ. જ્યારે અક્ષર પટેલને સાઉથ આફ્રિકા સામેની મેચમાંથી બહાર રાખવામાં આવ્યો હતો, ત્યારે તે ખુશ ન હતો. અમે તેને સમજાવ્યું કે આ નિર્ણય શા માટે લેવામાં આવ્યો.”

Leave a Reply