ટીમમાંથી ડ્રોપ થયા બાદ લાલચોળ થયો હતો અક્ષર પટેલ, સૂર્યાએ ભૂલ સ્વીકારી માફી માંગી: રિપોર્ટ
Updated: Mar 12th, 2026
GS TEAM

T20 World Cup : ભારતીય ટીમે ઈતિહાસમાં ત્રીજી વખત અને સતત બીજી વખત ટી-20 વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો છે. જોકે, આ સફર એટલી સરળ નહોતી. ખાસ કરીને સુપર-8માં દક્ષિણ આફ્રિકા સામે મળેલી 76 રનની કારમી હાર બાદ ટીમ ઈન્ડિયા પર બહાર થવાનું જોખમ તોળાઈ રહ્યું હતું. આ મેચમાં વાઈસ કેપ્ટન અક્ષર પટેલને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવાના નિર્ણય પર હવે કેપ્ટન સૂર્યકુમાર યાદવે મોટો ખુલાસો કર્યો છે.
અક્ષર પટેલને કેમ પડતો મૂકાયો હતો?
અમદાવાદમાં રમાયેલી દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં ભારતે રણનીતિક નિર્ણય લેતા અક્ષર પટેલના સ્થાને વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કર્યો હતો. દક્ષિણ આફ્રિકાની ટીમમાં ડાબોડી બેટર્સની સંખ્યા વધુ હોવાથી મેનેજમેન્ટે સુંદરને પ્રાધાન્ય આપ્યું હતું. જોકે, આ દાવ ઊંધો પડ્યો અને ભારતને મોટીહારનો સામનો કરવો પડ્યો. આ નિર્ણયથી અક્ષર પટેલ બિલકુલ ખુશ નહોતો.
આ પણ વાંચો : રાહુલ દ્રવિડને ‘લાઈફટાઈમ અચિવમેન્ટ’ ઍવોર્ડ આપશે BCCI, શુભમન ગિલનું પણ કરાશે સન્માન!
સૂર્યાએ કહ્યું- ‘મેં ભૂલ કરી હતી’
એક અખબાર સાથેની વાતચીતમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવે સ્વીકાર્યું કે, અક્ષર પટેલને બહાર રાખવો કદાચ ખોટો નિર્ણય હતો. સૂર્યાએ કહ્યું, “અક્ષર ખૂબ જ ગુસ્સામાં હતો અને તેનું ગુસ્સે થવું વ્યાજબી પણ હતું. તે એક અનુભવી ખેલાડી છે અને આઈપીએલમાં ફ્રેન્ચાઈઝીનું નેતૃત્વ કરે છે. મેં તેની માફી માંગી હતી. મેં તેને કહ્યું કે આ મારી ભૂલ હતી અને હું દિલગીર છું, પરંતુ આ નિર્ણય ટીમ માટે લેવામાં આવ્યો હતો.”
હારે આંખ ઉઘાડી
સૂર્યાએ દક્ષિણ આફ્રિકા સામેની હારને ટૂર્નામેન્ટનો ટર્નિંગ પોઈન્ટ ગણાવતા કહ્યું કે, આ હારને કારણે અમારી આંખો ઉઘડી હતી. અને ટીમને વધુ મજબૂત બનાવી.હાર બાદ અમારી પાસે પાછા વળવાનો કોઈ વિકલ્પ નહોતો. ઝિમ્બાબ્વે સામેની મેચ અમારા માટે પ્રી-ક્વાર્ટર ફાઈનલ જેવી બની ગઈ હતી. અમે ત્યારબાદની દરેક મેચ નોકઆઉટની જેમ જ રમ્યા હતા.
ઐતિહાસિક જીત
દક્ષિણ આફ્રિકા સામેના ઝટકા બાદ ભારતે જોરદાર વાપસી કરી હતી. સુપર-8ની બાકીની મેચો જીત્યા બાદ સેમિ ફાઇનલમાં ઈંગ્લેન્ડ અને ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ભારત સતત બે ટી-20 વર્લ્ડ કપ જીતનારી વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે.

Leave a Reply