શું ધોનીએ યુવરાજ સિંહને ટીમ ઈન્ડિયાથી બહાર કઢાવ્યો? પૂર્વ સિલેક્ટરે કર્યો ખુલાસો
Updated: Mar 12th, 2026
GS TEAM

Former Selector Sandeep Patil: પૂર્વ ભારતીય ક્રિકેટર યોગરાજ સિંહ ઘણી વાર આરોપ લગાવી ચૂક્યા છે કે, ‘મહેન્દ્ર સિંહ ધોનીના કારણે મારા દીકરા યુવરાજ સિંહનું ઈન્ટરનેશનલ કરિયર જલ્દી ખતમ થઈ ગયું. મારા દીકરા સાથે જે થયુ તેના માટે હું ધોનીને ક્યારેય માફ નહીં કરું.’
પરંતુ હવે આ વિવાદ પર પૂર્વ ચીફ સિલેક્ટર સંદીપ પાટિલે અલગ જ સત્ય જણાવ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ટીમ સિલેક્શન દરમિયાન ધોનીએ ક્યારેય પણ યુવરાજ સિંહને ટીમમાંથી બહાર કરવાની વાત નથી કરી.
શું બોલ્યો સંદીપ પાટિલ
એક યુટ્યુબ શોમાં વાતચીત દરમિયાન સંદીપ પાટીલે કહ્યું કે હું રેકોર્ડ પર આ વાત કહી રહ્યો છું કે, ભલે સિલેક્શન બેઠક હોય, વિદેશ પ્રવાસ હોય કે મેચ દરમિયાન ચર્ચા હોય, ધોનીએ ક્યારેય યુવરાજ સિંહને ટીમમાંથી હટાવવા નથી રહ્યું. પાટીલના મતે ધોનીને સિલેક્શન કમિટી પર સંપૂર્ણ વિશ્વાસ હતો અને તેણે ક્યારેય સિલેક્શન પ્રક્રિયામાં દખલ નહોતી કરી. ટીમમાં કોને સામેલ કરવામાં આવશે અને કોને નહીં તે નિર્ણય હંમેશા સિલેક્શન કમિટી જ કરતી હતી.
સંદીપ પાટીલે એ પણ સ્વીકાર્યું કે એક પિતા તરીકે યોગરાજ સિંહનું પોતાના દીકરા માટે ભાવુક થવું એ ખોટું નહોતું. પરંતુ તેમણે સ્પષ્ટ કહ્યું કે, યુવરાજ સિંહને ટીમમાંથી બહાર કરવા માટે ધોનીને જવાબદાર ઠેરવવો એ યોગ્ય નથી.
યોગરાજ સિંહે શું આરોપ લગાવ્યા છે
યોગરાજ સિંહ વર્ષોથી ધોની પ્રત્યે જાહેરમાં નારાજગી વ્યક્ત કરતા આવ્યા છે. તાજેતરના એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, ‘હું ધોનીને ક્યારેય માફ નહીં કરું. યુવરાજ સિંહ હજુ ચાર કે પાંચ વર્ષ વધુ ઈન્ટરનેશનલ ક્રિકેટ રમી શક્યા હોત. મારા દીકરા સાથે અન્યાય થયો હતો.’
યુવરાજ સિંહનું શાનદાર કરિયર
યુવરાજ સિંહને ભારતીય ક્રિકેટના મહાન મેચ વિજેતાઓમાંથી એક ગણવામાં આવે છે. તેમણે 2007ના T20 વર્લ્ડ કપ અને 2011ના વનડે વર્લ્ડ કપમાં ભારતને જીતાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 2011ના વર્લ્ડ કપમાં યુવરાજ સિંહને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તે સમયે તેઓ ફેફસાના કેન્સર સામે લડી રહ્યા હતા, પરંતુ સારવાર બાદ તેણે મેદાનમાં વાપસી કરી હતી.
આ પણ વાંચો: ‘અર્શદીપે માફી માગવાની જરૂર નહોતી..’, ડેરિલ મિચેલ સાથેના વિવાદમાં ગંભીરે પણ ઝંપલાવ્યું
સંદીપ પાટિલે શું કહ્યું
સંદીપ પાટિલનું કહેવું છે કે, ટીમ સંબંધિત દરેક મોટો નિર્ણય સિલેક્શન સમિતિ દ્વારા લેવામાં આવતો હતો. ધોનીએ ક્યારેય કોઈ ખેલાડીને બહાર કરવા માટે દબાણ નથી કર્યું. આનો અર્થ એ થયો કે સિલેક્શન સમિતિના યુવરાજ સિંહને પડતો મૂકવાના નિર્ણયમાં ધોનીની કોઈ ભૂમિકા નહોતી.

Leave a Reply