Updated: Mar 13th, 2026
GS TEAM

Run Out Controversy: બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચેની વનડે સીરિઝના બીજો મુકાબલામાં પાક બેટરે બુદ્ધિનું પ્રદર્શન કરતાં વિવાદ સર્જાયો હતો. 13 માર્ચ (શુક્રવાર)ના રોજ મીરપુરના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં સલમાન અલી આગાના રન આઉટ બાદ ભારે હોબાળો મચ્યો હતો. બાંગ્લાદેશના કેપ્ટન મેહદી હસન મિરાજે જે રીતે પાકિસ્તાની બેટર સલમાન અલી આગાને આઉટ કર્યો, તેનાથી મેદાન પર ગરમા ગરમીનો માહોલ જોવા મળ્યો હતો. ક્રિકેટ ચાહકોમાં ખેલદિલી પર ચર્ચા ઉઠી હતી.
મેદાન પર શું બન્યું?
આ ઘટના પાકિસ્તાનની ઇનિંગની 39મી ઓવરમાં બની હતી. મેહદી હસન મિરાજની ઓવરના ચોથા બોલ પર મોહમ્મદ રિઝવાને બોલરની જમણી બાજુએ શોટ રમ્યો હતો. બોલને રોકવા માટે મિરાજ આગળ વધ્યો અને પોતાના બૂટ વડે બોલને રોક્યો. આ દરમિયાન નોન-સ્ટ્રાઈકર એન્ડ પર રહેલો સલમાન અલી આગા ક્રીઝમાં પાછા ફરવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે બંને ખેલાડીઓ વચ્ચે સામાન્ય ટક્કર પણ થઈ હતી. બોલ સલમાન આગાના પગ પાસે જ અટકી ગયો હતો અને તે સમયે આગા ક્રીઝની બહાર હતો. આગાને લાગ્યું કે બોલ ‘ડેડ’ થઈ ગયો છે, તેથી તે નમીને બોલ ઉઠાવવા લાગ્યો જેથી તે મેહદી હસન મિરાજને પરત આપી શકે. પરંતુ મિરાજે ચપળતા બતાવી તરત જ બોલ ઉઠાવ્યો અને અંડરઆર્મ થ્રો કરીને સ્ટમ્પ વિખેરી નાખ્યા. આ સમયે આગા ક્રીઝની બહાર હોવાનું સ્પષ્ટ જણાતું હતું.
થર્ડ અમ્પાયરનો નિર્ણય અને હોબાળો
મેદાન પરના અમ્પાયર તનવીર અહેમદે આ મામલો થર્ડ અમ્પાયરને સોંપ્યો હતો. જે બાદ થર્ડ અમ્પાયરે ચુકાદો આપ્યો કે બોલ ડેડ થયો નહોતો અને નિયમો મુજબ મેહદી હસન મિરાજ દ્વારા કરવામાં આવેલો રન આઉટ સંપૂર્ણપણે યોગ્ય હતો. પરંતુ આ નિર્ણયથી સલમાન અલી આગા ભારે નારાજ થયો હતો અને તેણે મેદાન પર જ મિરાજ સાથે દલીલબાજી શરૂ કરી દીધી હતી.
મોહમ્મદ રિઝવાને મામલો શાંત પાડ્યો
આ વિવાદમાં બાંગ્લાદેશનો વિકેટકીપર લિટન દાસ પણ કૂદી પડ્યો હતો. સ્થિતિ એટલી તંગ બની ગઈ હતી કે આખરે મોહમ્મદ રિઝવાને વચ્ચે પડીને મામલો શાંત પાડવો પડ્યો હતો. ગુસ્સામાં લાલચોળ થયેલા સલમાન અલી આગાએ મેદાન છોડતી વખતે પોતાના ગ્લવ્સ અને હેલ્મેટ જમીન પર ફેંકી દીધા હતા અને પેવેલિયન તરફ જતી વખતે શાબ્દિક નારાજગી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: VIDEO: મસૂરીમાં કુલદીપ યાદવના લગ્નની ઉજવણી શરૂ! યુઝવેન્દ્ર ચહલ અને રિન્કુ સિંહ પણ લગાવ્યા ઠુમકા
‘સ્પિરિટ ઓફ ક્રિકેટ’ પર ઉઠ્યા સવાલ
આ રન આઉટ બાદ ક્રિકેટ જગતમાં ફરી એકવાર ‘સ્પિરિટ ઓફ ક્રિકેટ’ એટલે કે ખેલદિલી પર ચર્ચા શરૂ થઈ છે. આઈસીસીના નિયમો મુજબ મેહદી હસન મિરાજનું પગલું સાચું હતું, પરંતુ અનેક લોકોનું માનવું છે કે આ ખેલદિલીની વિરુદ્ધ હતું. બીજી તરફ, નિષ્ણાતોનું એવું પણ માનવું છે કે સલમાન અલી આગાની પ્રાથમિકતા પહેલા ક્રીઝમાં પરત ફરવાની હોવી જોઈએ, નહીં કે બોલ ઉપાડવાની.

Leave a Reply