ગોધરાના દશા ફાટક પાસે અધૂરા અંડરપાસથી લોકોને હાલાકી, મૃતદેહ અને એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી

ગોધરાના દશા ફાટક પાસે અધૂરા અંડરપાસથી લોકોને હાલાકી, મૃતદેહ અને એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી

ગોધરા: ગોધરાના દશા ફાટક પાસે બે વર્ષથી અધૂરા અંડરપાસના કારણે સ્થાનિક લોકોને રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંડરપાસના અધૂરા કામના કારણે મુખ્ય માર્ગ બંધ છે, જેના કારણે સામાન્ય અવરજવર, શાળા-કોર્પોરેટ પ્રવાસ, વૃદ્ધો અને બાળકો માટે ગભરાહટભર્યા સ્થિતિ સર્જાઈ છે.

સૌથી ગંભીર બાબત એ છે કે મૃત્યુ થાય ત્યારે મૃતદેહને અંતિમ સંસ્કાર માટે રેલવે પાટા ક્રોસ કરીને લઈ જવાની ફરજ પડે છે, જે શોકમગ્ન પરિવારો માટે અત્યંત કરુણ દૃશ્ય ઊભું કરે છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ રસ્તો બંધ હોવાને કારણે કોઈ વ્યક્તિ અચાનક બીમાર પડે અથવા ગર્ભવતી મહિલાને હોસ્પિટલમાં લઇ જવાની જરૂર પડે ત્યારે એમ્બ્યુલન્સ સમયસર પહોંચી શકતી નથી, મૃત્યુ પામેલા વ્યક્તિની શબવાહિની પણ પહોંચી શકતી નથી, જેના કારણે પરિવારજનોને કઠણ પરિસ્થિતિમાં પાટા અને રેલિંગ પાર કરી શબને સ્મશાન પહોંચાડવું પડે છે.

સ્થાનિકોનો આરોપ છે કે આ સમસ્યાને લઈને સ્થાનિક નેતાઓ, રેલવે વિભાગ અને પ્રશાસનને રજૂઆતો કરવામાં આવી છતાં કોઈ ઉકેલ નથી મળ્યો. તાજેતરમાં, વરસાદ દરમિયાન એક સ્થાનિક વ્યક્તિએ આ પરિસ્થિતિનો વીડિયો બનાવ્યો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને તંત્રની આંખો ખોલવાનો પ્રયાસ કર્યો.

વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે લોકો રોજિંદા જીવનમાં કેટલી મુશ્કેલી ભોગવી રહ્યા છે. સ્થાનિકો તાત્કાલિક અંડરપાસનું કામ પૂર્ણ કરીને રસ્તો ફરી શરૂ કરવાની માંગ કરી રહ્યા છે, જેથી જાહેર જનજીવનમાં ઉદ્ભવતી મુશ્કેલીઓ દૂર થઈ શકે.

 

Leave a Reply

Your email address will not be published.