વાપી: ત્રણ વર્ષ બાદ પણ રેલવે ફ્લાય ઓવરનું નિર્માણ અધૂરું રહેતા લોકોની ભારે હાલાકી સામે વાપી શહેર કોંગ્રેસે મંગળવારે મોરચો કાઢ્યો અને પીડબ્લ્યુ વિભાગના અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું. કોંગ્રેસે ચેતવણી આપી કે જો તાત્કાલિક સમસ્યાનો ઉકેલ નહીં આવે તો કચેરીને તાળાબંધી કરવામાં આવશે.
ત્રણ વર્ષ પહેલાં વાપી પૂર્વ અને પશ્ચિમને જોડતો જુનો રેલવે ફ્લાય ઓવર તોડી નવો ફ્લાય ઓવર બનાવવા કામ શરૂ કરાયું હતું. તે 18 મહીનામાં પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આજે ત્રણ વર્ષ બાદ પણ 70 ટકા કામ બાકી છે. પરિણામે શહેરવાસીઓ, ખાસ કરીને શાળા વિદ્યાર્થીઓ અને નોકરી-ધંધાર્થી વર્ગ, ટ્રાફિકની ભારે સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
આંદોલન દરમ્યાન વાપી શહેર કોંગ્રેસ પ્રમુખ નિમેશ વશી અને પૂર્વ પાલિકા વિપક્ષ નેતા ખંડુ પટેલ સહિત આગેવાનો હાજર રહ્યા. આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો કે કામમાં થયેલા મોડાને કારણે વાપી નાગરિકો ભારે તકલીફો સહન કરી રહ્યા છે. જો કે સરકાર પોતાના મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપતી હોવાથી પ્રજાની મુશ્કેલી પ્રત્યે નિષ્ક્રિય રહી છે.
નિમેશ વશીએ ભાજપ સરકાર પર તીક્ષ્ણ પ્રહાર કરતાં જણાવ્યું કે, “પ્રજાની હાલાકી અંગે સરકારને કોઈ મતલબ નથી. તેઓને માત્ર પોતાના ખિસ્સા ભરવામાં જ રસ છે.” કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો કામ પૂર્ણ કરવાની ગતિ તેજ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ તીવ્ર બનાવાશે.

Leave a Reply