ભારત હવે પોતાની નૌસેનાને વિશ્વસ્તરે વધુ શક્તિશાળી બનાવવા તરફ મહત્વનું પગલું ભરવા જઈ રહ્યું છે. સંરક્ષણ મંત્રાલયે 6 ઓગસ્ટ 2025ના રોજ જાહેર કરેલી ટેકનોલોજી પર્સપેક્ટિવ એન્ડ કેપેબિલિટી રોડમેપ 2025 (TPCR-2025) હેઠળ દેશ પોતાનું પહેલું ન્યુક્લિયરથી સંચાલિત એરક્રાફ્ટ કેરિયર ‘INS વિશાલ’ બનાવશે. આ જહાજ ભારતને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીન અને પાકિસ્તાન જેવી પડકારરૂપ શક્તિઓ સામે મજબૂત જવાબ આપવા સક્ષમ બનાવશે.
INS વિશાલ: ભારતની નવી તાકાત
INS વિશાલને સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર–3 (IAC-3) તરીકે ઓળખવામાં આવે છે. આ ભારતનું ત્રીજું એરક્રાફ્ટ કેરિયર હશે અને તે કોચીન શિપયાર્ડ લિમિટેડમાં બનાવાશે. ન્યુક્લિયર ઉર્જાથી સંચાલિત આ વિશાળ જહાજનું વજન 65થી 75 હજાર ટન રહેશે, જ્યારે તેની લંબાઈ લગભગ 300 મીટર અને ગતિ 55 કિમી/કલાક હશે. તેમાં કુલ 55 વિમાનો તહેનાત થઈ શકશે, જેમાંથી 40 ફિક્સ્ડ-વિંગ ફાઇટર જેટ અને 15 રોટરી-વિંગ હેલિકોપ્ટર હશે. આ જહાજ સાથે ભારત અમેરિકા અને ફ્રાન્સ પછી ન્યુક્લિયર સંચાલિત એરક્રાફ્ટ કેરિયર ધરાવતું દેશ બનશે.
પરમાણુ ઉર્જાના ફાયદા
INS વિશાલ પરમાણુ રિએક્ટરથી સંચાલિત હોવાથી તે લાંબા સમય સુધી રિફ્યુઅલિંગ વિના સમુદ્રમાં રહી શકશે. તેની ક્ષમતા 500–550 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની છે, જેના કારણે તે ઈલેક્ટ્રોમેગ્નેટિક એરક્રાફ્ટ લોન્ચ સિસ્ટમ (EMALS), લેસર હથિયારો અને આધુનિક સેન્સર સંચાલિત કરી શકશે. આ જહાજ ભારે ફાઇટર એરક્રાફ્ટ, ડ્રોન અને AEW&C વિમાનોને લોન્ચ કરવાની ક્ષમતા ધરાવશે, તેમજ સતત હવાઈ કવરેજ પૂરી પાડશે.
INS વિશાલની ખાસિયતો
- EMALS ટેકનોલોજી: DRDO દ્વારા વિકસાવવામાં આવી રહી છે, જે ભવિષ્યમાં 40 ટન સુધીના વિમાનો લોન્ચ કરી શકશે.
- ઓટોમેટિક લેન્ડિંગ સિસ્ટમ: વિમાનોને સુરક્ષિત લેન્ડિંગ સુનિશ્ચિત કરશે.
- ફ્રેનેલ ઓપ્ટિકલ લેન્ડિંગ સિસ્ટમ: પાઇલટ્સને લેન્ડિંગમાં માર્ગદર્શન આપશે.
- કોમ્બેટ મેનેજમેન્ટ સોફ્ટવેર: વિમાનોની કામગીરી અને યુદ્ધ દરમિયાન સંકલન કરશે.
કેમ જરૂરી છે INS વિશાલ?
ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીન અને પાકિસ્તાનની વધતી જતી નૌસૈનિક શક્તિ ભારત માટે ગંભીર પડકાર ઉભો કરે છે. ચીન પાસે પહેલેથી જ લિયાઓનિંગ અને શોંડોંગ જેવા બે એરક્રાફ્ટ કેરિયર છે અને ત્રીજું ફુજિયાન EMALS સાથે તૈયાર થઈ રહ્યું છે. બીજી તરફ, પાકિસ્તાન ચીન પાસેથી 8 હેંગોર-ક્લાસ સબમરીન ખરીદી રહ્યું છે, જે ભારતના દરિયાઈ ક્ષેત્ર માટે ખતરો ઊભો કરે છે.
ભારત ત્રણ એરક્રાફ્ટ કેરિયરની યોજના ધરાવે છે જેથી એક જહાજ મેઈન્ટેનન્સમાં હોય તો બીજા બે જહાજો હંમેશા અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સક્રિય રહી શકે. આ રીતે INS વિશાલ ભારતની દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવશે અને દેશની વ્યૂહાત્મક તાકાતમાં વધારો કરશે.

Leave a Reply