ઉત્તરપ્રદેશના ગાઝીપુર જિલ્લામાં નોનહારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા લાઠીચાર્જમાં ભાજપ કાર્યકર સિયારામ ઉપાધ્યાયના મોત બાદ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઘટના બાદ ગાઝીપુરના એસપી ડૉ. ઈરાજ રાજાએ નોનહારા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સહિત છ પોલીસકર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા છે.
સાથે જ આ સમગ્ર મામલે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપવામાં આવ્યા છે જેથી દોષિતો તપાસને પ્રભાવિત ન કરી શકે. માહિતી અનુસાર, 9 સપ્ટેમ્બરના રોજ વીજળીના થાંભલાના વિવાદ મુદ્દે લગભગ 40-50 લોકો નોનહારા પોલીસ સ્ટેશન ખાતે વિરોધ કરવા માટે ભેગા થયા હતા.

મધ્યરાત્રિએ લગભગ 1:30 વાગ્યે પોલીસ સ્ટેશનની લાઇટ બંધ કરી લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન રુકુનુદ્દીનપુર ગામના રહેવાસી અને ભાજપ કાર્યકર સિયારામ ઉપાધ્યાય, જે એક અપંગ વ્યક્તિ હતા, ગંભીર રીતે ઘાયલ થયા હતા.
તેમની પર પોલીસ કર્મચારીઓએ ઘેરીને લાકડીથી હુમલો કર્યો હોવાનું સાથી કાર્યકરોએ આરોપ મૂક્યો છે. ઘાયલ હાલતમાં તેઓ ઘરે પહોંચ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓને કારણે ગુરુવારે વહેલી સવારે તેમનું મૃત્યુ થયું હતું.
આ ઘટનાએ સ્થાનિક રાજકીય વર્તુળોમાં ભારે રોષ ફેલાવ્યો છે અને પરિસ્થિતિ પર નજર રાખવા માટે વરિષ્ઠ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

Leave a Reply