ભાગેડુ લલિત મોદીના ભાઈ સમીર મોદી દુષ્કર્મના કેસમાં દિલ્હી એરપોર્ટ પરથી ઝડપાયા, હાલ પોલીસ કસ્ટડીમાં

ભાગેડુ લલિત મોદીના ભાઈ સમીર મોદી દુષ્કર્મના કેસમાં દિલ્હી એરપોર્ટ પરથી ઝડપાયા, હાલ પોલીસ કસ્ટડીમાં

દિલ્હી: ભાગેડુ આઈપીએલના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીના ભાઈ અને ઉદ્યોગપતિ સમીર મોદી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. દિલ્હી પોલીસએ ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જૂના દુષ્કર્મ કેસમાં તેમની ધરપકડ કરી છે.

અહેવાલો અનુસાર, સમીર મોદી વિદેશ જવાના ઈરાદે દિલ્હી એરપોર્ટ પર હતા ત્યારે પોલીસે તેમને અટકાયતમાં લીધા. બાદમાં તેમને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા અને હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે. પોલીસ દ્વારા હજી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ તપાસ ચાલુ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ફરિયાદીએ મામલો સમાપ્ત કરવા માટે રૂ. 50 કરોડની માંગણી પણ કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ સમીર મોદીના પરિવારને કરવામાં આવી છે અને તેમના વકીલ તથા પરિવારના સભ્યો હાલ કાનૂની પ્રક્રિયામાં જોડાયા છે. હજુ સુધી તેમના પરિવાર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા મળી નથી.

સમીર મોદી લાંબા સમયથી કાનૂની અને વ્યવસાયિક વિવાદોમાં ઘેરાયેલા છે. તેમના પિતા કે.કે. મોદીની રૂ. 11,000 કરોડની મિલકતના વિતરણને લઈને તેઓ, તેમની માતા બીના મોદી અને અન્ય પરિવારજનો વચ્ચે વર્ષોથી કાનૂની લડત ચાલી રહી છે.

2024માં સમીર મોદીએ દિલ્હી પોલીસમાં ફરિયાદ કરી હતી કે ગોડફ્રે ફિલિપ્સ ઇન્ડિયાની બોર્ડ મીટિંગ દરમિયાન તેમની માતાના પીએસઓ દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો, જે તેમને કંપનીના બોર્ડમાંથી દૂર કરવા માટેના કાવતરાનો ભાગ હોવાનું તેમણે જણાવ્યું હતું. જોકે, તેમની માતાએ આ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા.

તદુપરાંત, ગોડફ્રે ફિલિપ્સ ઇન્ડિયાના બે ડિરેક્ટરોએ સમીર મોદી સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો, જેમાં દિલ્હી કોર્ટએ તેમને સમન્સ પાઠવ્યા હતા. કંપનીના શેર ખરીદી અંગેના મુદ્દે પણ તેઓ કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે.

લલિત મોદી લાંબા સમયથી ભારતની બહાર રહે છે અને અનેક તપાસ એજન્સીઓના રડાર હેઠળ છે. સમીર મોદી સામેની તાજેતરની કાર્યવાહીથી મોદી પરિવાર પર કાનૂની દબાણ વધુ વધ્યું છે અને આવનારા દિવસોમાં આ કેસને લઈને વધુ વિકાસ થવાની શક્યતા છે.

 

Leave a Reply

Your email address will not be published.