Updated: Jan 29th, 2026
GS TEAM

Pakistan Cricket Team : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ 2026 ટી20 વર્લ્ડ કપના બહિષ્કારની અટકળો પર લગભગ પૂર્ણવિરામ મૂકી દીધો છે. બોર્ડે 2 ફેબ્રુઆરીની સવારે પોતાની ટીમને શ્રીલંકાના કોલંબો મોકલવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે પાકિસ્તાન ન તો ટૂર્નામેન્ટનો બહિષ્કાર કરશે અને ન તો 15 ફેબ્રુઆરીએ ભારત સામે યોજાનારા હાઈ-વોલ્ટેજ મુકાબલામાંથી પીછેહઠ કરશે.
પ્રવાસ કાર્યક્રમ નક્કી, પીસીબી પાછળ નહીં હટે
ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, પીસીબીના સૂત્રોએ જણાવ્યું છે કે વર્લ્ડ કપ માટેનો પ્રવાસ કાર્યક્રમ અગાઉથી નક્કી કરી લેવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં બહિષ્કારની વાતોમાં કોઈ તથ્ય નથી. સૂત્રોના મતે, પીસીબીએ ભારતમાં રમવા અંગે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ની સુરક્ષા ચિંતાઓનું સમર્થન ચોક્કસ કર્યું હતું, પરંતુ તેનાથી આગળ વધવું એટલે આઈસીસી (ICC) માં પોતાની સ્થિતિ નબળી કરવા સમાન હતું.
ભારત-પાકિસ્તાન મેચો ન્યૂટ્રલ વેન્યુ પર રમાશે
ઉલ્લેખનીય છે કે, બીસીસીઆઈ, પીસીબી અને આઈસીસી વચ્ચે થયેલા ત્રિપક્ષીય કરાર મુજબ 2027 સુધી ભારત-પાકિસ્તાનના તમામ આઈસીસી મુકાબલા ન્યૂટ્રલ વેન્યુ (તટસ્થ સ્થળ) પર રમાશે. આ કારણે પાકિસ્તાનની તમામ વર્લ્ડ કપ મેચો અને ફાઈનલ (જો ટીમ ક્વોલિફાય થાય તો) શ્રીલંકા માં જ રમાવાની છે. એક અધિકારીએ સવાલ ઉઠાવ્યો હતો કે, “જ્યારે આખું શેડ્યૂલ જ શ્રીલંકામાં છે, ત્યારે ભારત સામેની મેચ અથવા ટૂર્નામેન્ટના બહિષ્કારનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી.”
પાકિસ્તાની પીએમ સાથેની બેઠકમાં શું થયું?
સૂત્રોએ વધુમાં જણાવ્યું કે, પીસીબી ચેરમેન મોહસિન નકવીએ વડાપ્રધાન શહેબાઝ શરીફ સાથેની મુલાકાતમાં સ્પષ્ટ કર્યું હતું કે કોઈપણ નિર્ણય લેતા પહેલા પાકિસ્તાની ક્રિકેટનું ભવિષ્ય સુરક્ષિત રહેવું જોઈએ અને આઈસીસી તેમજ અન્ય બોર્ડ સાથેના સંબંધો બગડવા જોઈએ નહીં.
આંતરિક સૂત્રોએ મીડિયામાં ચાલી રહેલા બહિષ્કારના સમાચારોને અફવા ગણાવી હતી. તેમણે કહ્યું કે, ભારત સરકાર દ્વારા પાકિસ્તાનમાં રમવાનો ઈનકાર કરવાનો અર્થ એ નથી કે ન્યૂટ્રલ વેન્યુ પર ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ ન થઈ શકે.

Leave a Reply