પાકિસ્તાની તુક્કામેનની ભવિષ્યવાણી ખોટી ઠરી, ભારત જીતતા ભડક્યો, કહ્યું – ‘મારા ઘરે કપ…’
Updated: Mar 9th, 2026
GS TEAM

T20 World Cup : ટીમ ઇન્ડિયાએ રવિવારે (8 માર્ચ) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યૂઝીલૅન્ડને 96 રને હરાવીને ત્રીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી લીધો છે. ભારતની આ ઐતિહાસિક જીતથી આખું વિશ્વ ભારતીય ટીમના વખાણ કરી રહ્યું છે, ત્યારે પાડોશી દેશ પાકિસ્તાનના કેટલાક પૂર્વ ક્રિકેટરો આ જીત પચાવી શકતા નથી. ખાસ કરીને પાકિસ્તાની ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર ભારતની જીત બાદ ભારે ગુસ્સામાં જોવા મળ્યો હતો.
‘જીતી ગયા છે, બસ ઠીક છે…’ આમિરની ઝાટકણી
પાકિસ્તાનના એક ટીવી શો ‘હસના મના હૈ’માં જ્યારે હોસ્ટ તાબિશ હાશ્મીએ આમિરને ભારતની જીત પર સવાલ પૂછ્યો, ત્યારે આમિરે અત્યંત ઝાટકણી કાઢતાં અને અકળાઈને જવાબ આપ્યો હતો. તેણે કહ્યું, “જીતી ગયા છે, બસ ઠીક છે. કપ પોતાના ઘરે લઈ જશે, મારા ઘરે થોડી લાવશે? વેલ ડન…” આમિરનો આ અંદાજ સ્પષ્ટ કહી રહ્યો હતો કે તેની ભવિષ્યવાણીઓ ખોટી સાબિત થવાથી તે કેટલો નિરાશ અને નારાજ છે.
‘ઢોંગી બાબા’ અને ‘નકલી નાસ્ત્રેદમસ’ તરીકે થયો ટ્રોલ
મોહમ્મદ આમિરે આ ટુર્નામેન્ટ દરમિયાન અનેક ‘નકલી ભવિષ્યવાણીઓ’ કરી હતી. તેણે દાવો કર્યો હતો કે, ભારત માટે સેમિ ફાઇનલ સુધી પહોંચવું પણ મુશ્કેલ હશે. એટલું જ નહીં, સેમિ ફાઇનલમાં પણ તેણે ઇંગ્લૅન્ડની જીતની ભવિષ્યવાણી કરી હતી. ભારતની જીત બાદ સોશિયલ મીડિયા પર તેને ભારે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. નવજોત સિંહ સિદ્ધુએ તો તેને ‘ઢોંગી બાબા’ સુદ્ધાં કહી દીધો હતો. હાર બાદ બચાવ કરતાં આમિરે કહ્યું કે જો હેરી બ્રુકે સંજુ સેમસનનો કેચ પકડ્યો હોત તો ઇંગ્લૅન્ડ જીતી ગયું હોત.
આ પણ વાંચો : VIDEO: T20 વર્લ્ડ કપની ફાઈનલમાં મેદાનમાં વિવાદ બાદ અર્શદીપ સિંહે ન્યૂઝીલૅન્ડના ખેલાડીથી માફી માગી
ફાઇનલ માટે પણ કરી હતી ખોટી આગાહી
શો દરમિયાન જ્યારે હોસ્ટ દ્વારા પૂછવામાં આવ્યું કે, ભારત પહેલા બેટિંગ કરે કે બોલિંગ, બંને સ્થિતિમાં કોણ જીતશે? ત્યારે આમિરે બંને કન્ડિશનમાં ન્યૂઝીલૅન્ડનું નામ લીધું હતું. જોકે, તેની સાથે પેનલમાં બેઠેલા રાશિદ લતીફ અને અહેમદ શહેઝાદે ભારતની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભારતની જીત બાદ અહેમદ શહેઝાદે આમિરનો બચાવ કરતાં કહ્યું કે તેણે તેના ક્રિકેટિંગ સ્કીલ્સના આધારે આ વાત કહી હતી.
ન્યૂઝીલૅન્ડ પર તૂટી પડ્યું ભારત
આમિરે કબૂલ્યું હતું કે, વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લૅન્ડ સામેની મેચોની સરખામણીએ ભારતે ફાઇનલમાં વધુ પ્રભુત્વ જમાવ્યું હતું. તેણે કહ્યું કે ન્યૂઝીલૅન્ડ સામે ટીમ ઇન્ડિયા જાણે તૂટી પડી હોય તેમ રમી હતી. ભારત હવે વિશ્વનું નવું T20 ચેમ્પિયન છે અને આમિર જેવા ટીકાકારો પાસે હવે માત્ર બહાના જ બચ્યા છે.
આ પણ વાંચો : જેને ખોટો સિક્કો સમજ્યો એ જ તુરુપનો એક્કો નીકળ્યો, ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વનો ફાળો

Leave a Reply