નેપાળમાં સોશિયલ મીડિયા પ્રતિબંધને લઈને થયેલા હિંસક દેખાવોએ ગંભીર પરિસ્થિતિ ઊભી કરી છે. સોમવારે (8 સપ્ટેમ્બર) પોલીસ કાર્યવાહી દરમિયાન 20 લોકોના મોત થયા હતા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાના પગલે ગૃહમંત્રી રમેશ લેખકે રાજીનામું આપવું પડ્યું.
કાઠમંડુમાં હાલ પરિસ્થિતિ તંગ છે. મંગળવારે (9 સપ્ટેમ્બર) સવારથી જ સંસદ ભવનની બહાર દેખાવકારો વડાપ્રધાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. સવારે કર્ફ્યુ હટાવવામાં આવ્યો હોવા છતાં રાષ્ટ્રપતિ ભવન, ઉપરાષ્ટ્રપતિ નિવાસસ્થાન, વડાપ્રધાન નિવાસ, સિંહ દરબાર અને સંસદ ભવનની આસપાસ પ્રતિબંધો યથાવત્ છે. બીજી તરફ મંત્રીના નિવાસસ્થાન અને મુખ્ય પક્ષોના કાર્યાલયોની આસપાસ સવારે 7થી બપોરે 12 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહેશે.
આઈટી મંત્રી પૃથ્વી સુબ્બા ગુરુંગે જાહેરાત કરી હતી કે સરકારે ફેસબુક, એક્સ (ટ્વિટર), ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને યુટ્યુબ સહિત 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુકવામાં આવેલ પ્રતિબંધ હટાવી દીધો છે અને સેવાઓ ધીમે ધીમે પુનઃસ્થાપિત થશે. તેમ છતાં, યુવાનોમાં અસંતોષ યથાવત્ છે અને તેઓ રસ્તાઓ પર વિરોધ કરી રહ્યા છે.
નિવૃત્ત કર્નલ માધવ સુંદર ખડગાએ જણાવ્યું કે તેઓ છેલ્લા છ મહિનાથી ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનમાં સક્રિય હતા. તેમણે પોલીસ પર હુમલાના આરોપ લગાવતા રાષ્ટ્રપતિ પાસે વર્તમાન સરકારને ભંગ કરવાની માંગ પણ કરી.
આ આંદોલનને લોકો ‘Gen-Z રિવોલ્યુશન’ કહી રહ્યા છે કારણ કે તેની આગેવાની મોટા ભાગે યુવા અને વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પ્રતિબંધને યુવાનોએ પોતાની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો ગણાવીને જોરદાર પ્રતિક્રિયા આપી છે.

Leave a Reply