ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: પીએમ મોદીએ કર્યું મતદાન, સી.પી. રાધાકૃષ્ણન અને બી. સુદર્શન રેડ્ડી વચ્ચે કડક ટક્કર

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: પીએમ મોદીએ કર્યું મતદાન, સી.પી. રાધાકૃષ્ણન અને બી. સુદર્શન રેડ્ડી વચ્ચે કડક ટક્કર

ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં એનડીએ (NDA) તરફથી સી.પી. રાધાકૃષ્ણન અને વિપક્ષ તરફથી બી. સુદર્શન રેડ્ડી વચ્ચે કડક ટક્કર જોવા મળી રહી છે. ચૂંટણીમાં મતદાન સવારના 10 વાગ્યે શરૂ થઈ સાંજે 5 વાગ્યા સુધી ચાલશે.

મતદાન શરૂ થતા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ મતદાન કર્યું હતું. મતદાનના એક દિવસ પહેલા સંસદ ભવનમાં NDA સાંસદોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં વડાપ્રધાન મોદીએ હાજરી આપી હતી. બેઠકમાં સાંસદોને મતદાન પ્રક્રિયા અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ચૂંટણી પહેલા NDA ઉમેદવાર અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન દિલ્હીના લોધી રોડ સ્થિત શ્રી રામ મંદિરે પૂજા-અર્ચના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “આ ચૂંટણી ભારતીય રાષ્ટ્રવાદ માટે મોટી જીત સાબિત થશે. અમે બધા એક છીએ અને એક રહીશું. અમારી ઇચ્છા ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા છે.”

આ ચૂંટણીમાં બિજૂ જનતા દળ (BJD), ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) અને શિરોમણી અકાલી દળે મતદાનમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત, પંજાબના સ્વતંત્ર સાંસદો સરબજીત સિંહ ખાલસા (ફરીદકોટ) અને અમૃતપાલ સિંહ (ખડૂર સાહિબ) એ પણ મતદાનનો બહિષ્કાર જાહેર કર્યો છે.

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ચૂંટણી અંગે જણાવ્યું કે, “આ મત અંતરાત્મા પર આધારિત છે. ભાજપ લોકોનો ઉપયોગ કરીને પછી તેમને બરબાદ કરે છે. અમારા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ સાથે પણ એવું જ બન્યું હતું. જીતનો આંકડો ચોક્કસપણે અમારા પક્ષમાં રહેશે.”

લોકસભા અને રાજ્યસભાના કુલ 781 સાંસદોને મતદાનનો અધિકાર છે, જેમાં જીત માટે 392 મત જરૂરી છે. હાલની સંખ્યાબળની સ્થિતિ જોતા NDA પાસે 425 સાંસદોનું સમર્થન છે (લોકસભામાં 293 અને રાજ્યસભામાં 132). એટલે કે, નંબરગેમમાં NDAની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે.

 

Leave a Reply

Your email address will not be published.