નેપાળમાં Gen-Z આંદોલન હિંસક સ્વરૂપ ધારણ કરવાથી રાજકીય પરિસ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ છે. સત્તા સંકટ અને હિંસાના કારણે વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપ્યું હતું. ઉગ્રવાદીઓએ સંસદ, રાષ્ટ્રપતિના ઘર, સુપ્રીમ કોર્ટ અને કેબિનેટ મંત્રીઓના ઘરમાં આગ લગાવી દીધી, અને સમગ્ર દેશમાં ઠેર ઠેર હિંસાના બનાવ થયા.
પશ્ચિમ નેપાળમાં નૌબસ્તા રિજનલ જેલના સુધારણા ગૃહમાં સુરક્ષા દળો સાથે થયેલી અથડામણમાં પાંચ સગીર કેદીઓના મોત થયા અને ચાર ગંભીર રીતે ઘાયલ થયા. આ હિંસક પ્રદર્શનનો લાભ લઈ 13,000થી વધુ કેદીઓ વિવિધ જેલોમાંથી ફરાર થયા છે. નેપાળ પોલીસના તાજેતરના આંકડા અનુસાર, હિંસામાં અત્યાર સુધી 30 લોકોના મોત થયા છે.
અખબાર ધ રાઇઝિંગ નેપાળના અહેવાલ મુજબ, નૌબસ્તા જેલમાં સગીર કેદીઓએ હથિયાર છીનવી લેવાનો પ્રયાસ કર્યો, જેના જવાબમાં પોલીસ ગોળીબાર પર ઉતરી. આ ઘટનામાં કુલ 149 કેદીઓ અને 76 સગીર કેદીઓ ભાગી ગયા.
અન્ય વિવિધ જેલોમાં ફરાર થયેલા કેદીઓમાં દિલ્હીબજાર જેલમાંથી 1,100, ચિતવનથી 700, નક્કુમાંથી 1,200, ઝુમ્પકા 1,575, કંચનપુર 450, કૈલાલી 612, જલેશ્વર 576, કાસ્કી 773, ડાંગ 124, જુમ્લા 36, સોલુખુમ્બુ 86, ગૌર 260 અને બજંગ 65 કેદીઓ ફરાર થયા. સિંધુલીગઢી જેલમાંથી 471 કેદીઓ, જેમાં 43 મહિલાઓનો સમાવેશ થાય છે, ફરાર થયા છે.
નવલપરાસી પશ્ચિમ જિલ્લા જેલમાંથી 500થી વધુ કેદીઓ ફરાર થયા, કેટલાક કેદીઓએ જેલમાં આગ લગાવી અને મુખ્ય દરવાજો તોડીને ભાગી ગયા. કાઠમંડુની દિલ્હીબજાર જેલમાંથી એક કેદીને સ્થાનિક યુવાનોએ પકડીને નેપાળી સેનાને સોંપ્યો.
સપ્તરી અને પારસા જિલ્લાની જેલોમાં પણ કેદીઓએ આગ લગાવી ફરાર થયાં, જ્યારે જુમ્લા જિલ્લાની ચંદનનાથ નગરપાલિકાની જેલમાંથી 36 કેદીઓ ફરાર થયા.
સ્થાનિક વહીવટીતંત્ર અને નેપાળી સેના સમગ્ર દેશમાં સુરક્ષા વધારી છે અને ફરાર થયેલા કેદીઓની શોધખોળ ચાલી રહી છે. પોલીસ જણાવી રહી છે કે કેદીઓને ઝડપવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
સામાન્ય લોકોમાં ભય વ્યાપી ગયો છે કારણ કે ગુનેગારો હવે ખુલ્લેઆમ ફરતા જોવા મળ્યા છે.

Leave a Reply