Updated: Feb 4th, 2026
GS TEAM

PM Shehbaz Sharif On T20 World Cup India vs Pakistan Match : ભારતમાં સાતમી ફેબ્રુઆરીથી ‘T20 વર્લ્ડકપ 2026’ની શરૂઆત થવાની છે, જોકે તેના બે દિવસ પહેલા પાકિસ્તાને નાટકો શરૂ કરી દીધા છે. તાજેતરમાં જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસીન નક્વીએ ભારત સામે મેચો રમવાનો ઈન્કાર કર્યો હતો, ત્યારે હવે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફે બુધવારે (4 ફેબ્રુઆરી) જાહેરાત કરી હતી કે, તેમની ટીમ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ભારત સામે મેદાનમાં ઉતરશે નહીં. 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાનારી હાઈ-પ્રોફાઇલ મેચનો ઈસ્લામાબાદે બહિષ્કાર કરીને ટુર્નામેન્ટના નિયમોનો ભંગ કર્યો છે.
બાંગ્લાદેશ સાથે એકતાનું બહાનું
પોતાની નબળાઈ છુપાવવા માટે શાહબાઝ શરીફે બાંગ્લાદેશ સાથે એકતાનું બહાનું આગળ ધર્યું છે. એક તરફ તેઓ કહી રહ્યા છે કે, રમતગમતમાં રાજકારણ ન હોવું જોઈએ અને બીજી તરફ પોતે જ રાજકીય કારણો આપીને મેચનો બહિષ્કાર કરી રહ્યા છે, જે તેમની બેવડી નીતિ છતી કરે છે. પાકિસ્તાન કેબિનેટને સંબોધતા શરીફે આ વિચિત્ર નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો.
આ પણ વાંચો : બલૂચિસ્તાન બળવાખોરો સામે પાકિસ્તાન હારી ગયું ! પાક. સંરક્ષણ મંત્રીએ પોતાની જ સેનાની ફજેતી કરી
પાકિસ્તાન વિવાદો ઉભા કરવામાં માહિર
ભારત હંમેશા રમતને ખેલદિલીથી રમવામાં માને છે, જ્યારે પાકિસ્તાન આવા બહિષ્કારના નાટક કરીને માત્ર વિવાદો ઉભા કરવામાં માહિર છે. આ નિર્ણયથી પાકિસ્તાને ફરી સાબિત કર્યું છે કે તે રમતગમતના મેદાનને પણ પોતાના ખોટા એજન્ડા માટે વાપરતા અચકાતું નથી.
પાકિસ્તાન પર થઇ શકે છે કડક કાર્યવાહી
ICC અગાઉ જ PCB ને ચેતવણી આપી ચૂક્યું છે કે, મેચના બહિષ્કારની સ્થિતિમાં તેણે ગંભીર નાણાકીય અને કાયદાકીય પરિણામો ભોગવવા પડી શકે છે. બ્રોડકાસ્ટર તરફથી કાયદાકીય કાર્યવાહી અને પાકિસ્તાનના વાર્ષિક રેવન્યુ હિસ્સા પર પણ જોખમ તોળાઈ રહ્યું છે. આ ઉપરાંત, પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એકલું-અટૂલું પડી જવાનું જોખમ પણ છે. નકવી પણ આ સ્થિતિથી વાકેફ છે. તેમને ખબર છે કે જો ICC તેમની સામે કડક પગલાં લેશે તો તેમનું બોર્ડ સંપૂર્ણપણે બરબાદ થઈ જશે અને તેઓ વિશ્વભરમાં એકલા પડી જશે. આવી સ્થિતિમાં શક્ય છે કે પાકિસ્તાન ફરી પોતાની જ વાત પરથી ફરી જાય.
આ પણ વાંચો : વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા ફુલ ફોર્મમાં, સાઉથ આફ્રિકાને હરાવ્યું, કિશનની દમદાર બેટિંગ

Leave a Reply