Updated: Feb 5th, 2026
GS TEAM

India Pakistan Match: 15 ફેબ્રુઆરીએ ભારત પાકિસ્તાન મેચ શ્રીલંકામાં યોજાવવાની હતી, પણ છેલ્લી ઘડીએ પાકિસ્તાનના અવળચંડા જોઈ હવે શ્રીલંકા ક્રિકેટ (SLC)એ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને નિર્ણય પર ફરી વિચાર કરવા કહ્યું છે. ICC પુરુષ ટી20 વર્લ્ડકપમાં સહ યજમાન શ્રીલંકાએ PCBને પત્ર લખ્યો છે, જેમાં પાકિસ્તાને ભારત સામેની મેચમાં ન રમવાનો નિર્ણય લીધો છે તેને ટાંકવામાં આવ્યો છે.
હોટલ બુકિંગ કેન્સલ થઈ રહ્યા છે: શ્રીલંકા ક્રિકેટ
શ્રીલંકા ક્રિકેટના જણાવ્યા મુજબ આ હાઈ પ્રોફાઇલ મેચ માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે, પણ પાકિસ્તાને રમવાની ના પાડતા મોટા પાયે હોટલ બુકિંગ કેન્સલ થઈ રહ્યું છે જેના કારણે શ્રીલંકાના પ્રવાસન ઉદ્યોગને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે. શ્રીલંકાએ પાકિસ્તાનને એ પણ યાદ અપાવ્યું કે તેને હંમેશા પાકિસ્તાનનું સમર્થન કર્યું છે જેથી હાલની સ્થિતિ પ્રમાણે PCBએ પોતાના નિર્ણય પર તાત્કાલિક અસરથી વિચાર કરવો જોઈએ.
પાકિસ્તાન ક્રિકેટમાં કરી રહ્યું છે રાજકારણ
મહત્વનું છે કે પાકિસ્તાન સરકારે ક્રિકેટમાં રાજકારણનો આરોપ મૂકી પાકિસ્તાન 15 ફેબ્રુઆરીએ ભારત સામે નહીં રમે તેવો નિર્ણય એટલા માટે લીધો હતો બાંગ્લાદેશને ICCએ બહાર ફેંકી દીધું છે. ક્રિકેટ જગતના નિષ્ણાતો પણ સ્પષ્ટ કહી રહ્યા છે કે બાંગ્લાદેશના નામે પાકિસ્તાન ક્રિકેટમાં રાજકારણ રમી રહ્યું છે. કારણ કે PCB ટીમ ભારત સામે રમશે કે નહીં તેનો નિર્ણય પાકિસ્તાન સરકાર પર છોડી દીધો હતો. બાદમાં શહબાજ સરકારે સલમાન અલી આગાની કેપ્ટનશિપ હેઠળ વર્લ્ડ કપ માટે શ્રીલંકા જવાની મંજૂરી તો આપી દીધી પણ 15 ફેબ્રુઆરીના રોજ ભારત સામે રમવાનો ઈનકાર કરી દીધો.
સરકારના નિર્ણય પર નિર્ભર પાકિસ્તાની ટીમ
ગુરુવારે યોજાયેલી કપ્તાનોની પ્રેસ કોન્ફરન્સમાં સલમાન અલી આગાએ કહ્યું કે, ‘ભારત સામે રમવું એ ખેલાડીઓના હાથમાં નથી. પાકિસ્તાન સરકારે અગાઉ ભારત સામેની મેચોના બહિષ્કારનો નિર્ણય લીધો હતો, તેથી જો ટુર્નામેન્ટના આગળના તબક્કામાં આવી સ્થિતિ સર્જાશે તો ફરીથી સરકારની સલાહ લેવામાં આવશે.’
આ પણ વાંચો: Watch: પાકિસ્તાનના બહિષ્કારના સવાલ પર ગંભીરે શું આપ્યું રિએક્શન? વર્લ્ડ કપ પહેલા વીડિયો ચર્ચામાં
તેમણે જ રમવાનો ઇન્કાર કર્યો : સૂર્યકુમાર યાદવ
કૅપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાન સામેના મુકાબલા અંગે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ‘પાકિસ્તાનને લઈને અમારું માઇન્ડસેટ બિલકુલ સાફ છે. અમે ક્યારેય તેમની સામે રમવાની મનાઈ કરી નથી, તેમણે જ રમવાનો ઇન્કાર કર્યો છે. અમારી ફ્લાઇટ્સ બુક છે અને અમે જઈ રહ્યા છીએ. અમારા ફિક્સર પણ તૈયાર છે. પહેલા અમે અમેરિકા સામે રમીશું અને ત્યારબાદ અન્ય મેચો રમીને કોલંબો જઈશું.’
પાકિસ્તાની વડાપ્રધાને બાંગ્લાદેશનું બહાનું બતાવ્યું
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસીન નક્વીએ ભારત સામે મેચો રમવાનો ઇન્કાર કર્યો હતો. ત્યારબાદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફે બુધવારે (4 ફેબ્રુઆરી) જાહેરાત કરી હતી કે, તેમની ટીમ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ભારત સામે મેદાનમાં ઉતરશે નહીં. આમ પાકિસ્તાને 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાનારી હાઇ-પ્રોફાઇલ મેચનો બહિષ્કાર કરીને ટુર્નામેન્ટના નિયમોનો ભંગ કર્યો છે. પોતાની નબળાઈ છુપાવવા માટે શાહબાઝ શરીફે બાંગ્લાદેશ સાથે એકતાનું બહાનું આગળ ધર્યું છે. એક તરફ તેઓ કહી રહ્યા છે કે, રમતગમતમાં રાજકારણ ન હોવું જોઈએ અને બીજી તરફ પોતે જ રાજકીય કારણો આપીને મેચનો બહિષ્કાર કરી રહ્યા છે, જે તેમની બેવડી નીતિ છતી કરે છે. પાકિસ્તાન કેબિનેટને સંબોધતા શરીફે આ વિચિત્ર નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો.

Leave a Reply