Updated: Feb 9th, 2026
GS TEAM

T20 World Cup 2026: T20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીના રોજ કોલંબોમાં યોજાનારી મેચ અંગે અનિશ્ચિતતાના વાદળો મંડરાઈ રહ્યા છે. પાકિસ્તાને ભારત સાથે આ મેચ રમવાનો ઈનકાર કરી દેતા ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. હવે આ ગંભીર મુદ્દા પર BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ રવિવારે BCCIનું સત્તાવાર સ્ટેન્ડ સ્પષ્ટ કરી દીધું છે, જેનાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે, BCCIએ આ સમગ્ર મામલો ICC પર છોડી દીધો છે.
BCCIનું સત્તાવાર સ્ટેન્ડ
નવી દિલ્હીમાં ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરના નિવાસસ્થાન પર આયોજિત ડિનર દરમિયાન રાજીવ શુક્લાએ મીડિયા સાથે વાત કરી હતી. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, ‘BCCIએ આખો મામલો ICC પર છોડી દીધો છે. ભારતીય બોર્ડ ICC દ્વારા લેવામાં આવેલા કોઈપણ નિર્ણયનું સંપૂર્ણપણે પાલન કરશે.’ BCCIનું આ વલણથી દર્શાવે છે કે, તેઓ આ રાજકીય અને રાજદ્વારી તણાવ વચ્ચે ખુદને સીધા વિવાદથીદૂર રાખીને ટુર્નામેન્ટના આયોજકોના નિર્દેશોની રાહ જોઈ રહ્યા છે.
પાકિસ્તાનના તેવર બદલાયા
કોલંબોમાં ભારત સામેની ગ્રુપ સ્ટેજ મેચ ન રમવાના પાકિસ્તાનના નિર્ણયથી ખેલ જગતને મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાને બાંગ્લાદેશના સમર્થનમાં આ પગલું ભર્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે, જેણે સુરક્ષા કારણોનો હવાલો આપીને ભારત આવવાનો ઈનકાર કર્યો હતો. જોકે, અહેવાલોમાં એ વાતનો ખુલાસો થયો છે કે, ICC અને PCB વચ્ચેની ચર્ચા બાદ પાકિસ્તાન મેચ રમવા માટે રાજી થઈ ગયું છે. પરંતુ તેમણે ICC સમક્ષ કેટલીક શરતો મૂકી છે.
આ પણ વાંચો: T20 વર્લ્ડકપ: નામીબિયા સામેની મેચ પહેલા ટીમ ઈન્ડિયાનું ‘ગેટ-ટુગેધર’, કોચ ગંભીરે કરી મહેમાનગતિ
ગૌતમ ગંભીરના ઘરે પહોંચી ટીમ ઈન્ડિયા
મેદાનની બહાર ચાલી રહેલા વિવાદો વચ્ચે ભારતીય ટીમ પોતાનું સંપૂર્ણ ધ્યાન રમત પર કેન્દ્રિત કરી રહી છે. રવિવારે સાંજે ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે દિલ્હીમાં તેમના ઘરે આખી ટીમ માટે ડિનરનું આયોજન કર્યું હતું. આ અનૌપચારિક મુલાકાતનો હેતુ નામિબિયા સામેની આગામી મેચ પહેલા ટીમની અંદર તાલમેલ અને ઉત્સાહ વધારવાનો હતો. અમેરિકા સામેની શાનદાર જીત બાદ ભારતીય ટીમ એકદમ સંતુલિત નજર આવી રહી છે અને કેપ્ટન સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ટીમ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં પોતાની બીજી જીત નોંધાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

Leave a Reply