‘અમે મેચ માટે સંપૂર્ણ રીતે તૈયાર’, ભારત-પાકિસ્તાન મેચ પર ટીમ ઈન્ડિયાની પ્રતિક્રિયા
Updated: Feb 10th, 2026
GS TEAM

T20 World Cup 2026, India vs Pakistan : T20 વર્લ્ડકપ-2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 15મી ફેબ્રુઆરીએ કોલંબોમાં મેચ રમાવાની છે. અગાઉ પાકિસ્તાને ભારત સામેની મેચોમાં રમવાનો ઈન્કાર કર્યો હતો, જોકે કે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની કડકાઈ સામે ગઈકાલે પાકિસ્તાન ઝુંકી ગયું છે અને ભારત સામે મેચ રમવા તૈયાર થઈ ગયું છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે પાકિસ્તાની ટીમ સામે ભારતીય ટીમની તૈયારીઓ કેવી છે, તે અંગે ટીમ ઈન્ડિયાના સહાયક કોચ રેયાન ટેન ડોએશે મહત્ત્વનું નિવેદન આપ્યું છે.
દક્ષિણ આફ્રિકામાં જન્મેલા નેધલેન્ડના પૂર્વ સુકાની અને વર્તમાનમાં ટીમ ઈન્ડિયાના સહાયક કોચ ડોએશે કહ્યું કે, ‘ભારતીય ટીમ T20 વર્લ્ડકપની લીગ મેચમાં પાકિસ્તાનનો સામનો કરવા માટે માનસિક રીતે પહેલેથી જ તૈયાર છે. પાકિસ્તાને તાજેતરમાં મેચના બહિષ્કારનો નિર્ણય પાછો ખેંચતા હવે ટીમનું સંપૂર્ણ ધ્યાન માત્ર ક્રિકેટ પર કેન્દ્રિત થઈ ગયું છે.’
ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વનું : ડોએશે
ડોએશે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘અમે આ સ્થિતિને સ્વીકારી લીધી હતી અને જ્યાં સુધી અમે ત્યાં પહોંચીએ અને તેઓ મેદાનમાં હાજર ન હોય, ત્યાં સુધી અમે એવું જ માનીને ચાલતા હતા કે અમે મેચ રમીશું. અમે બધા રાજકારણથી દૂર રહેવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. મેં પહેલા પણ દેશની ભાવનાઓ અને બંને દેશો વચ્ચેની રાજનીતિ વિશે ઉલ્લેખ કર્યો છે, પરંતુ મને લાગે છે કે અમારા માટે સૌથી મહત્વનું માત્ર ક્રિકેટ પર ધ્યાન આપવાનું છે.’
આ પણ વાંચો : રોહિત-વિરાટને મોટો ફટકો : BCCIના ગ્રેડ-A કોન્ટ્રાક્ટમાંથી ડિમોશન, A+ ગ્રેડ નાબૂદ, જુઓ લિસ્ટ
પાકિસ્તાનને લોજિસ્ટિક્સનો લાભ મળી શકે
તેમણે સ્વિકાર કર્યો છે કે, પાકિસ્તાન ટીમ છેલ્લા બે અઠવાડિયાથી કોલંબોમાં હોવાથી તેમને પરિસ્થિતિનો લાભ મળી શકે છે. તેમણે આ અંગે કહ્યું કે, ‘આ પડકારજનક હશે કારણ કે પાકિસ્તાન છેલ્લા બે અઠવાડિયાથી કોલંબોમાં છે અને અમે આવતા અઠવાડિયે તે મુકાબલામાં અમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા પર સંપૂર્ણ ધ્યાન આપી રહ્યા છીએ.’ ભારતીય ટીમ 15મીએ પાકિસ્તાન સામે રમે તે પહેલા 12 ફેબ્રુઆરીએ નામિબિયા સામે રમશે.
શું હતો વિવાદ?
આ હાઈવોલ્ટેજ મુકાબલા પર લાંબા સમયથી અનિશ્ચિતતાના વાદળો છવાયેલા હતા. પાકિસ્તાને અગાઉ શાહબાજ સરકારનો હવાલો આપીને 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત સામે રમવાનો ઈનકાર કર્યો હતો અને મેચના બહિષ્કારની જાહેરાત કરી હતી. જોકે, હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ICCને જાણ કરી છે કે, તેમની ટીમ નિર્ધારિત તમામ મેચો રમશે, જેનાથી આ વિવાદનો અંત આવ્યો છે અને ટુર્નામેન્ટના સૌથી મોટા મુકાબલાનો રસ્તો સાફ થઈ ગયો છે.

Leave a Reply