Updated: Feb 16th, 2026
GS TEAM

Shahid Afridi Slammed Son-in-law Shaheen, Babar & Shadab : ભારત સામેની શરમજનક હાર બાદ પાકિસ્તાની ક્રિકેટમાં ઘમસાણ મચી ગયું છે. ટી20 વર્લ્ડ કપ 2026માં મળેલી આ પછડાટ બાદ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીનો પિત્તો ગયો છે. આફ્રિદીએ ટીમના સીનિયર ખેલાડીઓની ઝાટકણી કાઢતા તેમને ટીમની બહાર કરી દેવાની માંગ કરી છે, જેમાં તેના પોતાના જમાઈ શાહીન આફ્રિદીનો પણ સમાવેશ થાય છે.
બાબર-શાદાબને પણ ટીમની બહાર કરવા માંગ
રવિવારે કોલંબોમાં ભારત સામે મળેલી 61 રનની હાર બાદ પાકિસ્તાની ક્રિકેટ જગતમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાની ટીમે અત્યાર સુધી ટી20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારત સામે રમાયેલી 9 માંથી 8 મેચો ગુમાવી છે. આ નિરાશાજનક આંકડા વચ્ચે શાહિદ આફ્રિદીએ સીનિયર ખેલાડીઓના પ્રદર્શન પર આકરા પ્રહારો કર્યા છે.
જમાઈને પણ ન બક્ષ્યો
ભારત સામેની મેચમાં શાહીન આફ્રિદી પાકિસ્તાનનો સૌથી મોંઘો બોલર સાબિત થયો હતો, તેણે માત્ર 2 ઓવરમાં 31 રન આપ્યા હતા. આ પ્રદર્શન જોઈને તેના સસરા શાહિદ આફ્રિદીએ તેની આકરી ટીકા કરી છે. આફ્રિદીએ એક ટીવી ચેનલને નિવેદન આપતા કહ્યું કે, ‘જો મારી પાસે પાકિસ્તાન ક્રિકેટના નિર્ણય લેવાની સત્તા હોય, તો હું શાહીન, બાબર અને શાદાબ ત્રણેયને બેન્ચ પર બેસાડી દઉં. આ ખેલાડીઓને વારંવાર તક આપવામાં આવે છે, છતાં તેઓ મોટી મેચમાં નિષ્ફળ રહે છે.’
આફ્રિદીના રોષના 3 મુખ્ય કારણો
શાહીન આફ્રિદીની ધોલાઈ: શાહીને ઈનિંગની છેલ્લી ઓવરમાં 16 રન આપ્યા, જેના કારણે ભારત 170 થી વધુનો સ્કોર બનાવી શક્યું.
બાબર-શાદાબની નિષ્ફળતા: કેપ્ટન બાબર આઝમ અને ઓલરાઉન્ડર શાદાબ ખાન (જેણે બોલિંગમાં 17 રન આપ્યા અને બેટિંગમાં માત્ર 14 રન કર્યા) ફરી એકવાર ટીમને મુશ્કેલીમાંથી ઉગારી શક્યા નહીં.
યુવાઓને તક આપવાની માંગ: આફ્રિદીનું માનવું છે કે હવે નવા છોકરાઓ પર ભરોસો બતાવી તેમને નામિબિયા જેવી ટીમો સામે રમવાની તક આપવી જોઈએ.
ભારતીય ટીમનો ફરી દબદબો
ભારતની આ જીતનો અસલી હીરો ઈશાન કિશન રહ્યો હતો, જેણે 40 બોલમાં 77 રન ફટકારીને પાકિસ્તાની બોલરોની લાઈન-લેન્થ ખોરવી નાખી હતી. ત્યારબાદ જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલની ધારદાર બોલિંગે પાકિસ્તાનને માત્ર 114 રનમાં સમેટી લીધું હતું. વર્લ્ડ કપમાં હવે ભારતનો પાકિસ્તાન સામેનો રેકોર્ડ 8-1 થઈ ગયો છે.

Leave a Reply