India Bangladesh Relations: બાંગ્લાદેશમાં નવી સરકારની રચના બાદ ભારત સાથેના વણસેલા સંબંધો સુધારવાની કવાયત તેજ કરવામાં આવી છે. વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ તારિક રહેમાને ભારત સાથેના મૈત્રીપૂર્ણ સંબંધોને પ્રાથમિકતા આપી છે. જેમાં બાંગ્લાદેશના નવા રમતગમત મંત્રી અમીનુલ હકે ભારત સાથે રમતગમત સહિતના તમામ ક્ષેત્રોમાં સંબંધો સુધારવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
પદભાર સંભાળતાની સાથે જ અમીનુલ હકની ભારતીય ડેપ્યુટી હાઈ કમિશનર સાથે મુલાકાત
અમીનુલ હકે પદભાર સંભાળ્યા બાદ તુરંત જ ભારતીય ડેપ્યુટી હાઈ કમિશનર સાથે મુલાકાત કરી હતી અને T20 વર્લ્ડ કપ સંબંધિત મુદ્દાઓ પર હકારાત્મક ચર્ચા કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે બાંગ્લાદેશ પોતાના તમામ પાડોશી દેશો સાથે સારા સંબંધો રાખવા માંગે છે.
ક્રિકેટના મેદાન પર તણાવ
મહત્ત્વનું છે કે, છેલ્લા કેટલાક સમયથી બંને દેશો વચ્ચે ક્રિકેટના મેદાન પર તણાવ જોવા મળ્યો હતો. બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ થયેલી હિંસા બાદ BCCI એ કડક વલણ અપનાવ્યું હતું અને KKRને મુસ્તફિઝુર રહેમાનને IPL 2026માંથી બહાર કરવાનો આદેશ આપ્યો હતો. આ વિવાદ વધતા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે T20 વર્લ્ડ કપ 2026 માટે પોતાની ટીમને ભારત મોકલવાનો ઇનકાર કર્યો હતો અને મેચો શ્રીલંકા શિફ્ટ કરવાની માંગ કરી હતી.
આ પણ વાંચો: ટી20 વર્લ્ડકપ: સુપર-8 પહેલા જ આ 5 કારણોના લીધે ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું!
જોકે, ICC એ આ માંગ ન સ્વીકારતા આખરે બાંગ્લાદેશે વર્લ્ડ કપમાંથી બહાર થવાનો નિર્ણય લીધો હતો અને તેમની જગ્યાએ સ્કોટલેન્ડને તક મળી હતી. હવે રમતગમત મંત્રીએ સ્વીકાર્યું છે કે જો રાજકીય વિવાદો ચર્ચા દ્વારા ઉકેલાયા હોત તો બાંગ્લાદેશ વર્લ્ડ કપ રમી શક્યું હોત અને હવે તેઓ ભવિષ્યમાં આવા મુદ્દાઓને જલ્દી ઉકેલવા માંગે છે.

Leave a Reply