કેપ્ટન સૂર્યાનું છલકાયું દર્દ, અમદાવાદમાં દ.આફ્રિકા સામે હારનું ઠીકરું જુઓ કોના પર ફોડ્યું
Updated: Feb 23rd, 2026
GS TEAM

IND vs SA Ahmedabad match : અમદાવાદમાં રમાયેલા ટી20 વર્લ્ડ કપના સુપર-8 મુકાબલામાં સાઉથ આફ્રિકા સામે ભારતનો ૭૬ રને પરાજય થયો છે. સતત 12 મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાની આ પહેલી હાર છે, જેના કારણે સેમીફાઈનલના સમીકરણો હવે રસપ્રદ બન્યા છે.
પાવરપ્લેમાં ટીમ ઈન્ડિયાનો ધબડકો
187 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. કેપ્ટન સૂર્યકુમાર યાદવે સ્વીકાર્યું કે 180થી વધુ રનના ચેઝમાં મેચ પાવરપ્લેમાં જીતી શકાતી નથી, પરંતુ ત્યાં હારી જરૂર શકાય છે. ભારતે પાવરપ્લેમાં જ ત્રણ મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી, જેના કારણે રનચેઝ દબાણમાં આવી ગયુ હતું અને ટીમ નાની ભાગીદારીઓ પણ નોંધાવી શકી નહોતી.
અભિષેક શર્માની નિષ્ફળતા અને મિલરનું તોફાન
વિશ્વના નંબર-1 ટી20 બેટ્સમેન અભિષેક શર્મા આ મેચમાં પણ માત્ર 14 રન બનાવી આઉટ થતા ટીમ મેનેજમેન્ટની ચિંતા વધી છે. બીજી તરફ, સાઉથ આફ્રિકા માટે ડેવિડ મિલર ‘પ્લેયર ઓફ ધ મેચ’ સાબિત થયો હતો. મિલરે માત્ર 35 બોલમાં 63 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને મેચનું પાસું પલટી નાખ્યું હતું. મિલરે જણાવ્યું કે આ જીત સાબિત કરે છે કે ભારતને હરાવી શકાય છે.
કેપ્ટન સૂર્યાનો આત્મવિશ્વાસ અને રણનીતિ
હાર બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે જણાવ્યું કે આ હાર એક પાઠ છે, આંચકો નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે ટીમ પોતાની આક્રમક ક્રિકેટની શૈલીમાં કોઈ ફેરફાર નહીં કરે અને ગભરાટમાં આવીને કોઈ મોટા ફેરફાર કરવામાં આવશે નહીં. સૂર્યાને પૂરો ભરોસો છે કે ટીમ ઈન્ડિયા જોરદાર વાપસી કરશે અને નૉકઆઉટમાં પોતાની જગ્યા નિશ્ચિત કરશે.
સેમીફાઈનલની રાહ અને આગામી પડકાર
સુપર-8માં સેમીફાઈનલની આશા જીવંત રાખવા માટે હવે ભારતને ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચો જીતવી અનિવાર્ય છે. ભારતનો હવે પછીનો મુકાબલો ચેન્નાઈમાં રમાશે, જે સેમીફાઈનલની રેસ માટે નિર્ણાયક સાબિત થશે. જો સાઉથ આફ્રિકા પોતાની જીતની લય જાળવી રાખે તો ભારત માટે એક જીત પણ રસ્તો ખોલી શકે છે.

Leave a Reply