Updated: Feb 26th, 2026
GS TEAM

T20 World Cup : સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ સામે હાર્યા બાદ ભારત અને ઝિમ્બાબ્વે બંને માટે ગુરુવારે (26 ફેબ્રુઆરી) યોજાનારી ગ્રુપ 1ની સુપર 8 મેચ મહત્વની બની ગઈ છે. ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં બંને ટીમો સેમીફાઈનલની રેસમાં ટકી રહેવા માટે આ મેચ જીતવા માટે ઉતરશે. ભારત પર તો આ મેચ અંગે ભારે દબાણ જોવા મળી રહ્યું છે. ઉપરાંત ભારતીય ટીમે એવી પણ પ્રાર્થના કરવાની છે કે, દિવસની પ્રથમ મેચમાં (26 ફેબ્રુઆરી, વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સાઉથ આફ્રિકા) સાઉથ આફ્રિકાની ટીમ વેસ્ટ ઈન્ડિઝને હરાવી દે અને ત્યારબાદ ભારતીય ટીમ ઝિમ્બાબ્વેને હરાવી દે. કારણ કે વેસ્ટ ઈન્ડિઝનો નેટ રન રેટ 5 થી ઉપર છે, જ્યારે સાઉથ આફ્રિકાનો નેટ રન રેટ +3.800 છે.
ભારતીય ટીમ પર દબાણ
ભારતીય ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને પોતાના ઘરે જ રમી રહી હોવાથી તેના પર બમણું દબાણ છે. સાઉથ આફ્રિકા સામેની હાર બાદ ભારતનો નેટ રન રેટ -3.800 છે. આવી સ્થિતિમાં સૂર્યા બ્રિગેડ ઈચ્છશે કે સમીકરણો તેમના પક્ષમાં રહે. જો વેસ્ટ ઈન્ડિઝ આફ્રિકા સામે જીતી જાય તો ભારતની સેમીફાઈનલની ગણતરી બગડી શકે છે.
સુપર 8 માટે કરો યા મરો
સુપર 8માં આજે (ગુરુવારે) દિવસની મેચ બપોરે 3 વાગ્યે અમદાવાદમાં વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે. ત્યાં બે પોઈન્ટ માટે જંગ જામશે, પરંતુ અમદાવાદથી લગભગ 2,000 કિલોમીટર દૂર ચેન્નાઈમાં ભારત અને ઝિમ્બાબ્વેની ટીમો આ મેચ પર ખૂબ જ ધ્યાનથી નજર રાખશે. જો આજે ભારતીય ટીમની અપેક્ષા મુજબનું પરિણામ નહીં આવે, તો એવા ઘણા ખેલાડીઓ છે જેના ટી20 કરિયર પર ખતરો પેદા થઇ શકે છે.
આ પણ વાંચો : અમદાવાદમાં પોલીસ અધિકારીઓની ઓફિસ એરકન્ડીશન્ડ જ્યારે ચોકીઓ ભાડાના જૂના મકાનમાં
1. અભિષેક શર્મા: અત્યારે ભારતમાં જો કોઈ ખેલાડીની સૌથી વધુ ટીકા થઈ રહી હોય તો તે અભિષેક શર્મા છે. તેણે ટી20 વર્લ્ડ કપ 2026ની 4 મેચમાં માત્ર 15 રન બનાવ્યા છે. આ 15 રન પણ સાઉથ આફ્રિકા સામેની છેલ્લી ટી20 મેચમાં આવ્યા હતા. શરૂઆતની મેચોમાં તેમણે 3 વખત શૂન્ય પર પેવેલિયનની વાટ પકડી હતી. અભિષેક શર્મા હાલમાં ટી20 રેન્કિંગમાં નંબર 1 બેટ્સમેન છે, પરંતુ તેના હાલના ફોર્મે ટીમ ઈન્ડિયાની ચિંતા વધારી છે. 1 જાન્યુઆરી 2025થી અત્યાર સુધીના આંકડા જોઈએ તો અભિષેક ભારતીય ટીમના સૌથી સફળ બેટ્સમેન રહ્યા છે. તેણે 30 મેચોની 30 ઇનિંગ્સમાં 37.71ની એવરેજ અને 196.64ના સ્ટ્રાઈક રેટથી 1056 રન બનાવ્યા છે. જો અભિષેક આગળ પણ ફ્લોપ રહેશે, તો વિકલ્પ તરીકે યશસ્વી જાયસ્વાલ અને વૈભવ સૂર્યવંશી પણ છે. વૈભવ આગામી 27 માર્ચે સિનિયર ટીમ ઈન્ડિયામાં પસંદગી માટે પાત્ર બનશે. વૈભવ અત્યારે 14 વર્ષનો છે અને ICCના નિયમ મુજબ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે ખેલાડીની લઘુત્તમ ઉંમર 15 વર્ષ હોવી જોઈએ.
2. તિલક વર્મા: ચાલુ ટી20 વર્લ્ડ કપમાં તિલક વર્મા પણ નબળી કડી બન્યો છે. તે ટીમની સૌથી મજબૂત ગણાતી નંબર 3 પોઝિશન પર રમી રહ્યો છે. તેણે 5 ઇનિંગ્સમાં 107 રન બનાવ્યા છે. જેમાં તેની એવરેજ 21.40 અને સ્ટ્રાઈક રેટ 118.88 છે. જે ત્રીજા નંબરના બેટ્સમેન માટે ઘણો ઓછો છે.તેની જગ્યા લેવા માટે શ્રેયસ અય્યર જેવા બેટ્સમેનો તૈયાર છે. તિલક જે રીતે સાઉથ આફ્રિકા સામે શોટ રમવા જતાં આઉટ થયો, ત્યારબાદ સુનિલ ગાવસ્કરે પણ તેને ઠપકો આપ્યો હતો.
3. રિંકુ સિંહ: ટી20 વર્લ્ડ કપ 2026માં રિંકુ સિંહે અત્યાર સુધીની 5 મેચમાં માત્ર 29 બોલ રમીને 24 રન બનાવ્યા છે. રિંકુએ અમેરિકા સામે 14 બોલમાં 6 રન, નામિબિયા સામે 6 બોલમાં 1 રન, પાકિસ્તાન સામે 4 બોલમાં અણનમ 11 રન અને નેધરલેન્ડ સામે 3 બોલમાં અણનમ 6 રન બનાવ્યા. સાઉથ આફ્રિકા સામે તે 2 બોલ રમ્યો પણ ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો. જોકે, ક્રિકેટના નિષ્ણાતોનો એક પક્ષ માને છે કે, રિંકુને પૂરતી તક મળી નથી, તેથી તેના પર સવાલ ઉઠાવવો યોગ્ય નથી. છતાં રિંકુની જગ્યા લેવા માટે પણ ટીમમાં અનેક ખેલાડીઓ દાવેદાર છે.
4. સૂર્યકુમાર યાદવ: આ ટી20 વર્લ્ડ કપમાં સૂર્યકુમાર યાદવ ભારતીય ટીમનો કેપ્ટન છે, પરંતુ તેનું ફોર્મ એવું નથી જેના માટે તે જાણીતો છે. જો ભારતીય ટીમની સફર વર્લ્ડ કપમાં પૂરી થશે તો 35 વર્ષીય સૂર્યાના કરિયર પર બ્રેક લાગી શકે છે. સૂર્યા આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેણે 5 મેચોની 5 ઇનિંગ્સમાં 1 વખત અણનમ રહીને 180 રન 45.00ની એવરેજ અને 127.65ના સ્ટ્રાઈક રેટથી બનાવ્યા છે. સૂર્યાનો હાઈએસ્ટ સ્કોર 84* છે, જે તેણે અમેરિકા સામેની ઓપનિંગ મેચમાં બનાવ્યો હતો. પરંતુ સૂર્યાનો એકંદર ટી20 આંતરરાષ્ટ્રીય મેચોનો સ્ટ્રાઈક રેટ 162.77 અને એવરેજ 37.32 છે, જે વર્લ્ડ કપમાં ઘટી ગયા છે.

Leave a Reply