Rinku Singh News: ભારતીય ક્રિકેટ ચાહકો અને ટીમ મેનેજમેન્ટ માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. ટીમનો સ્ટાર બેટર રિન્કુ સિંહ આજે સાંજ સુધીમાં ફરીથી ટીમ કેમ્પમાં જોડાઈ શકે છે. આ અંગેની સત્તાવાર પુષ્ટિ ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ સિત્તાંશુ કોટકે કરી છે. રિન્કુ સિંહના પિતાની તબિયત અચાનક બગડતા તે પારિવારિક કારણોસર થોડા સમય માટે ટીમથી અલગ થઈ ઘરે ગયો હતો. હવે સ્થિતિ નિયંત્રણમાં હોવાથી તે ફરી પોતાની રાષ્ટ્રીય જવાબદારી નિભાવવા માટે મેદાનમાં પરત ફરી રહ્યો છે.
છેલ્લી ઓવરોમાં રિન્કુનો પાવર પ્લે ટીમ માટે અત્યંત મહત્ત્વનો
ટીમ મેનેજમેન્ટને આશા છે કે રિન્કુ સિંહ વહેલી તકે પ્રેક્ટિસ સેશનમાં જોડાઈને પોતાની જૂની લય પ્રાપ્ત કરી લેશે. ખાસ કરીને મેચની અંતિમ ઓવરોમાં તોફાની બેટિંગ કરીને મેચ ફિનિશ કરવાની તેની ક્ષમતા ટીમ માટે અત્યંત મહત્ત્વની માનવામાં આવે છે. જોકે, ચાલુ ટી20 વર્લ્ડ કપમાં રિન્કુનું પ્રદર્શન અપેક્ષા મુજબનું રહ્યું નથી અને તેનો ‘મિડાસ ટચ’ અત્યાર સુધી થોડો ખામોશ જોવા મળ્યો છે. તેમ છતાં, પાકિસ્તાન જેવી મોટી ટીમો સામે તેણે નાની પણ આક્રમક ઈનિંગ રમીને પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો છે.
આ પણ વાંચો: T20 વર્લ્ડ કપમાં બાબર આઝમના નામે ઈતિહાસનો સૌથી શરમજનક રેકોર્ડ નોંધાયો
હરારેની એ યાદગાર ઈનિંગ
રિન્કુ સિંહની ગેમ પર નજર કરીએ તો ઝિમ્બાબ્વે સામે તેનો રેકોર્ડ ખૂબ જ શાનદાર રહ્યો છે. તેણે ઝિમ્બાબ્વે વિરુદ્ધ રમેલી 5 મેચોમાં 176.47ના ધમાકેદાર સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. વર્ષ 2024માં હરારેમાં રમેલી તેની અણનમ 48 રનની ઈનિંગ આજે પણ ચાહકોના મનમાં તાજી છે. ક્રિકેટના નિષ્ણાતો માની રહ્યા છે કે રિન્કુના પાછા ફરવાથી મધ્યક્રમમાં ટીમની તાકાત વધશે. આગામી મેચોમાં ટીમ ઇન્ડિયા માટે તેનું ફોર્મમાં આવવું ખૂબ જ જરૂરી છે, જેથી ભારત વર્લ્ડ કપમાં મજબૂત સ્થિતિ જાળવી શકે.

Leave a Reply