Updated: Feb 28th, 2026
GS TEAM

IPL 2026 : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આ વખતે પણ પોતાની પરંપરાગત આસ્થાને ભૂલ્યા નથી. ધોનીએ રાંચીથી 60 કિલોમીટર દૂર તમાડ સ્થિત દિવડી મંદિરમાં વિધિ-વિધાન સાથે પૂજા-અર્ચના કરી અને માતાજીના આશીર્વાદ લીધા હતા. ધોનીનું આ મંદિર સાથે ખાસ જોડાણ છે અને તેઓ હંમેશા કોઈપણ મોટી ટુર્નામેન્ટ પહેલા અહીં આવીને આશીર્વાદ લેતા હોય છે.
જાતે કાર ડ્રાઈવ કરીને મંદિર પહોંચ્યા ‘માહી’
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં એમ.એસ. ધોની ફરી એકવાર ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) નું પ્રતિનિધિત્વ કરવાના છે. આગામી આઈપીએલ સીઝન પહેલા ધોનીએ પોતાની પરંપરા ચાલુ રાખતા રાંચીથી પોતે કાર ડ્રાઈવ કરીને મંદિર પહોંચ્યા હતા. તેમની સાથે મંદિરના પૂજારી મનોજ પંડા હાજર હતા, જેમણે વિધિપૂર્વક પૂજા સંપન્ન કરાવી હતી.
આ પણ વાંચો : નરોડામાં પિતા- પુત્ર સહિત ત્રણ લોકો અને કાગડાપીઠમાં ચાર લોકોને તલવાર અને પાઇપ વડે મારામારી કરી, સારવાર માટે ખસેડવા પડ્યા
ફેન્સનો ઉમટ્યો મહેરામણ
એમ.એસ. ધોની મંદિરે પહોંચતા જ ચાહકોની સંખ્યા અચાનક વધી ગઈ હતી. જેવું લોકોએ તેમને જોયા, તેમની આસપાસ ભીડ જમા થઈ ગઈ અને દરેક વ્યક્તિ તેમની સાથે સેલ્ફી લેવા આતુર હતી. જોકે, માહીએ ફેન્સને નિરાશ ન કર્યા અને ખૂબ જ સહજતાથી તેમની સાથે સેલ્ફી લેવા દીધી હતી. આ ઘટનાએ મંદિરના વાતાવરણને વધુ ઉત્સાહપૂર્ણ બનાવી દીધું હતું.
વર્ષો જૂનું જોડાણ અને અટલ આસ્થા
ધોનીનું દિવડી મંદિર સાથેનું જોડાણ વર્ષો જૂનું છે. તેમણે અગાઉ પણ અનેક વખત ટુર્નામેન્ટ પહેલા અહીં આવીને પૂજા કરી છે. તેમનું માનવું છે કે માતાના આશીર્વાદ તેમના પ્રદર્શન અને ટીમની સફળતા માટે વિશેષરૂપે મદદરૂપ સાબિત થાય છે.
મંદિરમાં થયેલી આ પૂજાથી ક્રિકેટ જગતમાં પણ ચર્ચા શરૂ થઈ છે. IPL 2026ની શરૂઆત પહેલા ધોનીની આ યાત્રા તેમના ફેન્સ માટે ઉત્સાહ અને પ્રેરણાનો સ્ત્રોત બની છે. આ બાબત દર્શાવે છે કે ભલે ક્રિકેટ ધોની માટે વ્યાવસાયિક જીવનનો ભાગ હોય, પરંતુ તેમની આસ્થા અને પરંપરાગત રીતિ-રિવાજો હંમેશા તેમની પ્રાથમિકતાઓમાં સામેલ રહ્યા છે.

Leave a Reply