ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે 9 સપ્ટેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણને વિજય નોંધાવ્યો છે. આ ચૂંટણીમાં કુલ 767 સાંસદોએ મતદાન કર્યું હતું, જેમાંથી 752 મત માન્ય અને 16 મત અમાન્ય ગણાયા.
પરિણામ મુજબ રાધાકૃષ્ણને 452 મત મળ્યા જ્યારે વિપક્ષના ઇન્ડિયા બ્લોકના ઉમેદવાર જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડીને માત્ર 300 મત જ મળ્યા. આ જીત સાથે સી.પી. રાધાકૃષ્ણન દેશના નવા ઉપરાષ્ટ્રપતિ બનશે.
ચૂંટણી દરમિયાન ભાજપને પહેલેથી જ સંખ્યાબળનો ફાયદો હતો. NDA પાસે લોકસભા અને રાજ્યસભામાં મળીને કુલ 425 સાંસદોનું સમર્થન હતું, જ્યારે જીત માટે જરૂરી આંકડો 392 હતો.
ઉપરાંત YSRCPના સાંસદોએ પણ NDA ઉમેદવારને સમર્થન આપ્યું. આથી જ શરૂઆતથી જ રાધાકૃષ્ણનની જીત નિશ્ચિત માનવામાં આવી રહી હતી. બીજી તરફ, BJD, BRS અને શિરોમણી અકાલી દળે ચૂંટણીમાં ભાગ ન લેવાની જાહેરાત કરી હતી, જ્યારે પંજાબના બે અપક્ષ સાંસદોએ પણ મતદાનનો બહિષ્કાર કર્યો હતો.

ચૂંટણી પ્રક્રિયા સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચાલી હતી, જેમાં લોકસભા અને રાજ્યસભાના સાંસદોએ મતદાન કર્યું. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાથી લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિતના અનેક મોટા નેતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. આ દરમિયાન મલ્લિકાર્જુન ખડગે અને નીતિન ગડકરીને મતદાન સમયે પરસ્પર હાથ મિલાવતા જોવા મળ્યા હતા.
પરિણામ જાહેર થયા બાદ સ્પષ્ટ થયું કે વિપક્ષનો અંદાજ ખોટો સાબિત થયો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અગાઉ દાવો કર્યો હતો કે તેમના ઉમેદવાર સુદર્શન રેડ્ડી પાસે જીતવાની તક છે, પરંતુ પરિણામે NDAની જીત એકતરફી સાબિત થઈ.
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ભાજપ પર કટાક્ષ કરતાં કહ્યું કે, “આ મત અંતરાત્માથી આપવામાં આવે છે, પરંતુ ભાજપ પોતાના સ્વાર્થ માટે લોકોનો ઉપયોગ કરે છે.”
જીત પછી સી.પી. રાધાકૃષ્ણને જણાવ્યું કે આ જીત માત્ર NDAની નથી, પરંતુ ભારતીય રાષ્ટ્રવાદની જીત છે. તેમણે શપથ લીધા પછી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં કાર્ય કરવાનું સંકલ્પ વ્યક્ત કર્યો.

Leave a Reply