પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આજે (9 સપ્ટેમ્બર) બે અલગ અલગ સ્થળોએ બનેલી ડૂબવાની દુર્ઘટનાઓને કારણે વિસ્તારમાં શોકનું મોજું છવાઈ ગયું છે.
મળતી માહિતી મુજબ, પ્રથમ બનાવ સાંતલપુર વિસ્તારમાં બન્યો હતો, જ્યાં નદીના તેજ વહેણમાં ત્રણ લોકો તણાઈ ગયા હતા. આ ઘટના અંગે જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. કલાકો સુધી ચાલેલી કામગીરી દરમિયાન બે વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે એક વ્યક્તિ હજી ગુમ છે અને તેની શોધખોળ જારી છે.
બીજી ઘટના નળીયા ગામ નજીક ખારી નદીમાં બની હતી, જ્યાં નહાવા ગયેલા પાંચથી વધુ યુવકો અચાનક વધેલા પાણીના પ્રવાહમાં ફસાઈ તણાઈ ગયા હતા. સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક મદદરૂપ બન્યા હતા અને ચાર યુવકોને જીવતા બહાર કાઢવામાં સફળતા મળી હતી. જોકે, બાકીની વ્યક્તિઓની શોધખોળ હજુ સુધી ચાલુ છે.

આ માટે SDRFની ટીમે સ્થળ પર પહોંચી વિશેષ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. અચાનક વધેલા પાણીના પ્રવાહને કારણે થયેલી આ બંને દુર્ઘટનાઓએ સ્થાનિકોમાં ગમગીનીનો માહોલ સર્જી દીધો છે અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
હાલ અધિકારીઓ તરફથી સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે અને બચાવ ટીમો સતત પ્રયત્નશીલ છે.

Leave a Reply