ઉત્તર પ્રદેશના મથુરા અને વૃંદાવનમાં યમુના નદીના વધતા જળસ્તરથી શહેરમાં પરિસ્થિતિ કાબૂની બહાર થઈ છે. નદી ખતરાના નિશાનની ઉપરથી વહી રહી છે, અને નીચાણવાળા વિસ્તારોમાં ખેતરો, ઘરોથી લઈને મંદિરો સુધી બધું જ જળમગ્ન થયું છે.
ખાસ કરીને બાંકે બિહારી મંદિર તરફ જતા વીઆઈપી રોડ પર ચારથી પાંચ ફૂટ પાણી ભરાઈ ગયું છે, જેના કારણે સ્થાનિક લોકો અને વૃંદાવન આવતા શ્રદ્ધાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક વહીવટીતંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને સલામત સ્થળે પહોંચાડવાની કામગીરી ચાલુ છે.
પ્રસિદ્ધ સંત પ્રેમાનંદ મહારાજ યમુનાના રૌદ્ર સ્વરૂપને જોવા માટે શિષ્યો સાથે સ્થળ પર પહોંચ્યા હતા. સ્ટીમર મારફતે તેઓ યમુનામાં ડૂબેલા વિસ્તારોની પરિસ્થિતિ જોઈ, અને લોકોને કહ્યું કે આ પ્રકૃતિનો એક ભાગ છે અને ઇશ્વરીય લીલા છે, આ આપત્તિને ભગવાનની કૃપા અથવા ગુસ્સો નહીં માનવો. સંત મહારાજે લોકોને ધીરજ અને હિંમત રાખવાની અપીલ કરી.
પ્રકૃતિની આ આપત્તિમાં, પ્રેમાનંદ મહારાજે લોકોને જરૂરિયાતમંદોને મદદ પહોંચાડવા માટે પ્રોત્સાહિત કર્યું. તેમણે કહ્યું કે હજારો લોકો ભૂખ્યા છે, પીવાનું પાણી અને વીજળીની સુવિધા નથી, તેથી દરેક વ્યક્તિએ ફૂડ પેકેટ અને જરૂરી સહાય પુરી પાડવી જોઈએ. સંત મહારાજે લોકોએ પોતાની ક્ષમતા અનુસાર પૂર પીડિતોને ભોજન અને અન્ય જરૂરી વસ્તુઓ પહોંચાડવાનું આવાહન કર્યું.


Leave a Reply