Asia Cup Trophy Mohsin Naqvi: એશિયા કપ ટ્રોફીને લઈને વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. તાજેતરમાં થયેલી બેઠકમાં BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ ACC ચેરમેન મોહસીન નકવીને આકરા સવાલો પૂછ્યા હતા. ત્યારબાદ મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, નકવીએ બેઠક દરમિયાન માફી માગી હતી. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, એશિયા કપ ટ્રોફી ટૂંક સમયમાં ભારત મોકલવામાં આવશે અથવા ભારતમાંથી કોઈ તેને રિસીવ કરશે. જોકે, હવે નકવીએ પોતાના તાજેતરના ટ્વીટમાં આ તમામ અફવાઓને ફગાવી દીધી છે.
મેં માફી નથી માગી
મોહસીન નકવીએ પોતાની તાજેતરની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, ‘ભારતીય મીડિયા તથ્યો પર નહીં, પરંતુ જૂઠ્ઠાણા પર ટકેલી છે. હું એક વાત સ્પષ્ટ કરવા માગુ છું મેં કંઈ ખોટું નથી કર્યું અને BCCI પાસે માફી નથી માગી અને ક્યારેય માગીશ પણ નહીં. આ ખોટી અફવાઓ માત્ર પ્રોપેગેન્ડા છે, જેનો હેતુ માત્ર પોતાના જ લોકોને ગેરમાર્ગે દોરવાનો છે.’
ભારત સતત ક્રિકેટમાં રાજકારણને ઘૂસાડી રહ્યું
તેમણે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે, ‘દુર્ભાગ્યવશ ભારત સતત ક્રિકેટમાં રાજકારણને ઘૂસાડી રહ્યું છે, જેનાથી ખેલ ભાવનાને ઠેસ પહોંચી છે. ACC ચેરમેન તરીકે, હું તે જ દિવસે ટ્રોફી આપવા માટે તૈયાર હતો અને હજું પણ આપવા માટે તૈયાર છું. જો તેઓ ટ્રોફી લેવા માગતા હોય, તો તેમનું ખૂબ-ખૂબ સ્વાગત છે કે ACC ઑફિસમાં આવો અને મારી પાસેથી ટ્રોફી લઈ જાઓ.
આ પણ વાંચો: ‘ટ્રોફી વિવાદને ટાળી શકાયો હોત…’ પાકિસ્તાની મંત્રીના નેતૃત્વ હેઠળની ACCએ માફી માગી
એશિયા કપ ટ્રોફી ACCની સંપત્તિ
આ પહેલા એવી માહિતી સામે આવી હતી કે, એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠકમાં ટ્રોફીના મુદ્દા પર ઉગ્ર ચર્ચા થઈ હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે નકવીએ ભારતીય ખેલાડીઓ પર ફાઇનલ મેચ પછી તેમનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. બેઠકમાં ભારતના પ્રતિનિધિ રાજીવ શુક્લાએ સ્પષ્ટ કર્યું હતું કે, એશિયા કપ ટ્રોફી ACCની સંપત્તિ છે, તેના પર કોઈનો વ્યક્તિગત અધિકાર નથી.

Leave a Reply