Asia Cup Trophy Controversy: એશિયા કપ 2025ની ફાઇનલ બાદ ટ્રોફીને લઈને ઊભા થયેલા વિવાદમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ(ACC)ના અધ્યક્ષ મોહસીન નકવીને પાકિસ્તાનમાં સન્માનિત કરવામાં આવશે. અહેવાલો અનુસાર, ભારત સામેના તેના મક્કમ અને સિદ્ધાંતવાદી વલણ માટે નકવીને શહીદ ઝુલ્ફીકાર અલી ભુટ્ટો એક્સેલન્સ ગોલ્ડ મેડલ એનાયત કરાશે.
ટ્રોફી વિવાદમાં નકવીનું વલણ
એશિયા કપનો ખિતાબ જીત્યા બાદ ભારતીય ટીમે મોહસીન નકવી (જે પાકિસ્તાનના ગૃહમંત્રી પણ છે) પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. આ ઘટના બાદ મોહસીન નકવી લાંબા સમય સુધી સ્ટેજ પર રાહ જોયા પછી ટ્રોફી લઈને મેદાન છોડી ગયા હતા અને ભારતીય ખેલાડીઓએ ટ્રોફી વિના વિજયની ઉજવણી કરી હતી.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા નકવીને સ્ટેડિયમમાંથી હટાવવાની અને તેમને ACC અધ્યક્ષ પદેથી દૂર કરવાની માંગણી વચ્ચે, નકવીનું વલણ અડગ રહ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું, ‘ACC અધ્યક્ષ તરીકે હું તે જ દિવસે ટ્રોફી સોંપવા માટે તૈયાર હતો અને હું અત્યારે પણ તૈયાર છું. જો તે (ભારતીય ટીમ) ખરેખર ઇચ્છતા હોય, તો તે ACC ઑફિસમાં આવી શકે છે અને મારી પાસેથી તે લઈ શકે છે. મેં કંઈ ખોટું કર્યું નથી અને હું BCCIની માફી માંગીશ નહીં.’
આ પણ વાંચો: એશિયા કપ ટ્રોફી વિવાદ વચ્ચે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરનું નકવીને સમર્થન, ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું
નકવીના નિર્ણયને પાકિસ્તાનમાં સમર્થન
નકવીના આ વલણની પાકિસ્તાનના રાજકીય અને રમતગમત સમુદાયમાં ખૂબ પ્રશંસા થઈ છે. સિંધ અને કરાંચી બાસ્કેટબોલ ઍસોસિયેશનના અધ્યક્ષ ઍડ્વૉકેટ ગુલામ અબ્બાસ જમાલે આ ગોલ્ડ મેડલ આપવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, ‘નકવીના આ પગલાથી “ભારત સાથે વધતાં રાજકીય અને રમતગમતના તણાવ વચ્ચે રાષ્ટ્રીય ગૌરવ પુનઃસ્થાપિત થયું છે.’ આ ઍવૉર્ડ સમારોહમાં પીપીપીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારી મુખ્ય મહેમાન તરીકે હાજર રહે તેવી સંભાવના છે.
આ વિવાદ વચ્ચે મોહસીન નકવીને સુવર્ણ ચંદ્રક આપવાનો નિર્ણય પાકિસ્તાનના રાજકીય અને રમતગમત સમુદાય તરફથી તેમના વલણને મળેલા સમર્થનને દર્શાવે છે.

Leave a Reply