પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે બાલાસોન નદી પર આવેલ એક મહત્વપૂર્ણ પુલ ધરાશાયી થયો, જેમાં ઓછામાં ઓછા છ લોકોના મોત નીપજ્યા છે. આ દુર્ઘટના શુક્રવારે સાંજે દૂધિયા વિસ્તારમાં બની હતી, જ્યાં સતત વરસતા વરસાદે પુલની રચનાને નબળી બનાવી દીધી હતી.
સ્થાનિક પ્રશાસન મુજબ, ઘટનાના સમયે અનેક વાહનો અને પદયાત્રીઓ પુલ પરથી પસાર થઈ રહ્યા હતા. અચાનક પુલ તૂટી પડતા અનેક લોકો નદીમાં વહેતા થયા હોવાની શક્યતા છે. ઘટના બાદ તાત્કાલિક બચાવ અને શોધ કામગીરી હાથ ધરવામાં આવી છે. એનડીઆરએફની ટીમો તેમજ સ્થાનિક પોલીસ સતત વરસાદની વચ્ચે બચાવ કામગીરીમાં જોડાઈ છે.
આ પુલ સિલિગુડી અને મીરિક વચ્ચેનો મુખ્ય માર્ગ હતો, જે ઉત્તર બંગાળના મહત્વપૂર્ણ પરિવહન નેટવર્કનો હિસ્સો છે. પુલ ધરાશાયી થવાથી આ માર્ગ પરનો વાહનવ્યવહાર સંપૂર્ણ રીતે ખોરવાઈ ગયો છે અને લાંબા ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ છે.
દાર્જિલિંગ જિલ્લા પ્રશાસનએ જણાવ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસતા ભારે વરસાદને કારણે પ્રદેશના ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલનની સ્થિતિ ઊભી થઈ છે. નાગરિકોને નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવા અને નદીકાંઠાના રસ્તાઓનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવી છે.
પશ્ચિમ બંગાળની મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પરિવારો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે અને પ્રશાસનને ઝડપી રાહત તથા વળતર પહોંચાડવા માટે સૂચના આપી છે.
આ ઘટના ફરી એકવાર ઉત્તર બંગાળના પહાડી વિસ્તારોમાં જુના પુલો અને રસ્તાઓની સુરક્ષા પર પ્રશ્નો ઊભા કરે છે, જ્યાં મોસમી વરસાદથી ભૂસ્ખલન અને પૂર જેવી સ્થિતિ વારંવાર સર્જાતી રહે છે.

Leave a Reply